આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકાને સ્વચ્છ અને સુંદર રાખવામાં જે પાયાના પથ્થર સમાન છે, તેવા સફાઈ કર્મચારીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે. હાલાણી એજ્યુકેશન એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ, દિવ્યભાસ્કર અને કરમસદ-આણંદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આણંદના ટાઉનહોલ ખાતે એક ગૌરવશાળી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૨૫૦ જેટલા સફાઈના સૈનિકોનું પ્રશસ્તિ પત્ર, કીટ અને રોકડ ઇનામ આપીને બહુમાન કરવામાં આવ્યું હતું.
નગરના સાચા રક્ષકો: મંત્રી રમણ સોલંકી
આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકીએ જણાવ્યું હતું કે, “નગરને સ્વચ્છ રાખવામાં જેની અગ્ર ભૂમિકા છે તેવા કર્મીઓનું સન્માન કરવું એ સૌભાગ્યની વાત છે. સફાઈ કર્મીઓના શ્રમથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ‘સ્વચ્છ ભારત મિશન’ સફળ થઈ રહ્યું છે.” નાણા રાજ્ય મંત્રી કમલેશ પટેલે ઉમેર્યું હતું કે, આ સન્માન સફાઈ કર્મીઓ માટે એક પ્રેરણા પૂરી પાડશે અને તેઓ ખરેખર સન્માનના હકદાર છે.
કર્મયોગીઓનું બહુમાન
આ કાર્યક્રમમાં સફાઈ કર્મીઓ ઉપરાંત સેનેટરી સુપ્રિટેન્ડેન્ટ વિભાકર રાવ, ઝોનલ ઇન્સ્પેક્ટર, સુપરવાઇઝર્સ અને ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન કરનાર એજન્સીના પ્રતિનિધિઓનું પણ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. હાલાણી ટ્રસ્ટના ચેરમેન રાજુભાઈ હાલાણીએ તમામ સફાઈ કર્મીઓને તેમના નિસ્વાર્થ સેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
સામાજિક ઉત્તરદાયિત્વનું ઉમદા ઉદાહરણ
અર્જુન ડાંગરે સ્વાગત પ્રવચન આપતા જણાવ્યું હતું કે, સમાજને સ્વચ્છ રાખનારા આ શક્તિશાળી સૈનિકોનું સન્માન કરવું એ સામાજિક ઉત્તરદાયિત્વ છે. કાર્યક્રમના અંતમાં આણંદ ચેતન પટેલે આભારવિધિ કરી હતી. આ બેઠકમાં મહાનગરપાલિકા કમિશનર મિલિંદ બાપના, ધારાસભ્ય યોગેશ પટેલ અને પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
