વડોદરા: વડોદરાના ચર્ચિત અને કમકમાટીભર્યા હરણી બોટ દુર્ઘટનાકાંડને બે વર્ષનો સમય વીતવા આવ્યો હોવા છતાં પીડિત પરિવારો હજુ પણ ન્યાય માટે દર-દર ભટકી રહ્યા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં આ દુર્ઘટનામાં પોતાના વ્હાલસોયા બાળકો ગુમાવનાર પરિવારોએ તેમની મુલાકાત કરી પોતાની વેદના રજૂ કરી હતી.
માતા-પિતાની વેદના અને ગંભીર આક્ષેપો
મુલાકાત દરમિયાન પીડિત પરિવારોએ અત્યંત ગંભીર આક્ષેપો કર્યા હતા. એક મૃતક બાળકીની માતાએ જણાવ્યું કે, “જ્યારે મેં એક જાહેર કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ન્યાયની માંગ કરી, ત્યારે મને પકડીને સભામાંથી બહાર કાઢી મૂકવામાં આવી હતી.” પરિવારોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે વડોદરામાં જ્યારે પણ ભાજપના કોઈ મોટા નેતા કે મંત્રી આવે છે, ત્યારે પોલીસ દ્વારા પીડિત પરિવારોને નજરકેદ કરી દેવામાં આવે છે જેથી તેઓ વિરોધ ન કરી શકે.
કેજરીવાલે આપ્યું ન્યાયનું આશ્વાસન
અરવિંદ કેજરીવાલે ૧૨ માસૂમ બાળકો અને ૨ શિક્ષિકાઓના જીવ લેનારી આ દુર્ઘટના અંગે ઉંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે પીડિતોની વાતો શાંતિપૂર્વક સાંભળી અને વિશ્વાસ અપાવ્યો કે આમ આદમી પાર્ટી આ મામલે ન્યાય અપાવવા માટે મક્કમતાથી લડશે. કેજરીવાલે કહ્યું કે, માસૂમોના જીવ જવાની ઘટનામાં આટલો વિલંબ એ તંત્રની નિષ્ફળતા દર્શાવે છે.
શું હતી હરણી બોટ દુર્ઘટના?
વડોદરાના હરણી તળાવમાં બે વર્ષ પહેલા ક્ષમતા કરતા વધુ લોકોને બોટમાં બેસાડવા અને સુરક્ષાના સાધનોના અભાવે બોટ પલટી ગઈ હતી. આ માનવસર્જિત દુર્ઘટનામાં ૧૨ નિર્દોષ ભૂલકાઓ અને ૨ શિક્ષિકાઓના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. આ કેસમાં અનેક આરોપીઓની ધરપકડ થઈ હોવા છતાં, મુખ્ય કાવતરાખોરો અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ હજુ પણ અધૂરી છે.
