ગાંધીનગર: ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ કાર્યરત પુરાતત્વ અને સંગ્રહાલય નિયામક ડો. પંકજ શર્માએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં જ ૧૬ લાખથી વધુ નાગરિકો અને પ્રવાસીઓએ વિવિધ મ્યુઝિયમ (સંગ્રહાલય) ની મુલાકાત લીધી છે. ગુજરાતે અભૂતપૂર્વ આર્થિક વિકાસ સાધવાની સાથે પોતાની પુરાતન ઐતિહાસિક અસ્મિતાને પણ ગૌરવભેર જાળવી રાખી છે.
પરંપરાથી ટેક્નોલોજી સુધી: મ્યુઝિયમનું સ્વરૂપ બદલાયું
ભૂતકાળમાં મ્યુઝિયમ એટલે માત્ર કાચની પેટીઓમાં રાખેલી જૂની મૂર્તિઓ, તામ્રપત્રો કે સિક્કાઓ જોવાનું એક શાંત સ્થળ ગણાતું હતું. પરંતુ છેલ્લા ૧ દાયકામાં ગુજરાત સરકારે આ પરંપરાગત વ્યાખ્યામાં ધરમૂળથી પરિવર્તન આણ્યું છે. ડો. પંકજ શર્માના જણાવ્યા અનુસાર, બદલાતા સમય સાથે ડિજિટલ ટેક્નોલોજીના અદભુત સમન્વયથી મ્યુઝિયમ હવે માત્ર પ્રદર્શન પૂરતા મર્યાદિત ન રહેતા, નવી પેઢી માટે જ્ઞાન અને સંસ્કૃતિના જીવંત અને ઇન્ટરેક્ટિવ લર્નિંગના વૈશ્વિક કેન્દ્રો બન્યા છે. આજે રાજ્યના સંગ્રહાલયોમાં યુવા પેઢી પોતાની વિરાસતને માત્ર જુએ નહીં પરંતુ વાસ્તવિક રીતે અનુભવી શકે તે માટે AR/VR (ઓગમેન્ટેડ અને વર્ચ્યુઅલ રિયાલિટી), 3D પ્રોજેક્શન મેપિંગ, હોલોગ્રામ અને ઇન્ટરેક્ટિવ ટચસ્ક્રીન જેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
છેલ્લા ૧૨ વર્ષમાં ગુજરાતના વારસાને વૈશ્વિક સ્તરે મૂકતા મુખ્ય મ્યુઝિયમ્સ
ગુજરાત સરકારે છેલ્લા એક દાયકામાં ૫ નવા ભવ્ય મ્યુઝિયમ્સનું નિર્માણ કર્યું છે, જે આજે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે હોટસ્પોટ બન્યા છે:
૧. સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને મ્યુઝિયમ (ભુજ)
ભુજના ઐતિહાસિક ભુજિયા ડુંગર પર આકાર પામેલું સ્મૃતિવન ૨૦૦૧ના વિનાશક ભૂકંપના દિવંગતોની પવિત્ર સ્મૃતિમાં બનેલું છે. આ ભારતનું સૌથી અદ્યતન ટેક્નોલોજી ધરાવતું મ્યુઝિયમ છે. અહીં ખાસ તૈયાર કરાયેલા સ્પેશિયલ સિમ્યુલેટર થિયેટર દ્વારા મુલાકાતીઓ ભૂકંપનો વાસ્તવિક ધ્રુજારીનો અનુભવ કરી શકે છે. કુદરતી આફત સામે ખુમારીથી બેઠા થવાની કચ્છીઓની ખમીર અને નવસર્જનની આ પ્રેરણાદાયી ગાથા પ્રવાસીઓની આંખો ભીની કરી જાય છે.
૨. દાંડી કુટીર (ગાંધીનગર): બાપુના આદર્શોની ડિજિટલ યાત્રા
વર્ષ ૨૦૧૫માં પાટનગર ગાંધીનગરમાં નિર્માણ પામેલી ‘દાંડી કુટીર’ મહાત્મા ગાંધીના જીવન અને વિચારોને આધુનિક ટેક્નોલોજી દ્વારા રજૂ કરે છે. ૪૧ મીટર ઊંચો આ શંકુ આકારનો ગુંબજ ઐતિહાસિક મીઠાના સત્યાગ્રહ (૧૯૩૦) ના મીઠાના ઢગલાનું પ્રતિક છે. અહીં પ્રકાશ, ધ્વનિ (Sound), એનિમેશન અને મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન દ્વારા ભારતની આઝાદીની લડતને જીવંત કરવામાં આવી છે.
૩. વડનગર આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સિયલ મ્યુઝિયમ
વર્ષ ૨૦૨૫માં જ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયેલું આ મ્યુઝિયમ વડનગરના હજારો વર્ષ જૂના ઇતિહાસ અને ઉત્ખનન (ખોદકામ) દરમિયાન મળી આવેલા અવશેષોને લાઈવ પ્રદર્શિત કરે છે. ભારતમાં આ પ્રકારનો આ પ્રથમ પ્રયોગ છે, જ્યાં પ્રવાસીઓ લાઈવ ખોદકામની સાઇટનો અનુભવ કરી શકે છે. 3D ડિસ્પ્લે અને ડાયોરામાની મદદથી અહીં ૨,૫૦૦ વર્ષ જૂના ૭ જુદા-જુદા સાંસ્કૃતિક તબક્કાઓના કાલક્રમિક વિકાસને સચોટ રીતે સમજાવવામાં આવ્યો છે.
૪. નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (લોથલ) — નિર્માણાધીન
સિંધુ ખીણની સભ્યતાનું સૌથી પ્રાચીન બંદર શહેર લોથલ ફરી એકવાર વૈશ્વિક ફલક પર ચમકવા જઈ રહ્યું છે. અહીં બની રહેલું નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિશ્વનું સૌથી મોટું મેરિટાઇમ (દરિયાઈ) મ્યુઝિયમ બનશે. તે ભારતના સમૃદ્ધ નૌકાયન ઇતિહાસ, દરિયાઈ શક્તિ અને પ્રાચીન વૈશ્વિક વેપાર પરંપરાને ઇમર્સિવ ગેલેરીઓ અને વર્ચ્યુઅલ પ્રેઝન્ટેશન દ્વારા વિશ્વ સમક્ષ ભવ્ય રીતે રજૂ કરશે.
૫. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને મ્યુઝિયમ (કેવડિયા)
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની સાથે એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના અપ્રતિમ જીવન, અખંડ ભારતના નિર્માણ અને દેશી રાજ્યોના વિલીનીકરણના ગૌરવશાળી ઇતિહાસને દર્શાવતું અત્યાધુનિક મ્યુઝિયમ આ સરકારી વિઝનનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે.
