ગાંધીનગર: કેન્દ્રીય વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે ગુજરાતની રાજધાની ગાંધીનગર ખાતે આવેલા વૈશ્વિક ખ્યાતિપ્રાપ્ત “વિદ્યા સમીક્ષા કેન્દ્ર – ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કૂલ્સ” ની મુલાકાત લીધી હતી. આ હાઈ-ટેક સેન્ટરની મુલાકાત દરમિયાન તેમણે વિશાળ વીડિયો વોલના માધ્યમથી રાજ્યની સરકારી શાળાઓના રિયલ-ટાઇમ મોનિટરિંગની જીવંત કાર્યપદ્ધતિ નિહાળી આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મિલિંદ તોરવણેએ કેન્દ્રીય મંત્રીને ડેટા મેનેજમેન્ટ અને ડિજિટલ ટ્રેકિંગ સિસ્ટમની તકનીકી ખૂબીઓ વિશે વિસ્તૃત પ્રેઝન્ટેશન આપ્યું હતું.
સમગ્ર દેશ માટે પ્રેરણાદાયી મોડેલ : મંત્રી ભૂપેન્દ્ર યાદવે
મુલાકાત બાદ પોતાના સત્તાવાર પ્રતિભાવમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સ્પષ્ટ અભિગમ છે કે શિક્ષણ માત્ર અક્ષરજ્ઞાન પૂરતું સીમિત ન રહેતા ભારતના ગુણાત્મક વિકાસનો આધાર બને. વિદ્યા સમીક્ષા કેન્દ્ર આ વિઝનને સાકાર કરતું દેશનું સર્વોત્તમ મોડેલ છે. તેમણે ઉમેર્યું કે, ડેટા એનાલિટિક્સના આધારે ‘વિદ્યાર્થીઓ કયા કારણોસર શાળા છોડી રહ્યા છે’ તેનો સચોટ અભ્યાસ કરીને ડ્રોપ-આઉટ રેશિયો ઘટાડવામાં આ કેન્દ્ર ગેમ-ચેન્જર સાબિત થઈ રહ્યું છે. ભવિષ્યમાં આ કેન્દ્ર ભારતના આધુનિક શિક્ષણ ક્ષેત્રના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવશે.
શિક્ષણ મોનિટરિંગના વૈજ્ઞાનિક માપદંડો અને મહાનુભાવોની ઉપસ્થિતિ
વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ વ્યવસ્થાનું સઘન મૂલ્યાંકન કરવામાં આવે છે:
ઓનલાઈન ટ્રેકિંગ: રાજ્યની તમામ સરકારી શાળાઓના વિદ્યાર્થીઓની રોજિંદી ઓનલાઈન હાજરી અને શિક્ષકોની શૈક્ષણિક ગુણવત્તાનું ડિજિટલ મોનિટરિંગ થાય છે.
વૈજ્ઞાનિક મૂલ્યાંકન: પ્રાથમિક અને માધ્યમિક વર્ગોના બાળકોના વાંચન, સ્પષ્ટ ઉચ્ચારણ, ગણન અને નવા વિષયોના જ્ઞાનની પ્રગતિની ચકાસણી સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે થાય છે.
ઉચ્ચ સ્તરીય પરામર્શ: મંત્રી ભૂપેન્દ્ર યાદવે મુલાકાત દરમિયાન શાળાઓમાં અટલ ટિંકરિંગ લેબ, STEM (સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથ્સ) અને આધુનિક લાઈબ્રેરીઓ વિકસાવવા અંગે વરિષ્ઠ અધિકારીઓ સાથે હકારાત્મક ચર્ચા કરી હતી.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ રાજેશ શુક્લા, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, અગ્રણી આશિષ દવે સહિત શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
ગુજરાત વન વિભાગ માટે કેન્દ્રીય મંત્રીની મહત્વની જાહેરાતો
શિક્ષણ સિવાય કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેંદર યાદવે ગુજરાતના વન્યજીવ સૃષ્ટિને લઈને ત્રણ અત્યંત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કેન્દ્ર સરકારનું વલણ સ્પષ્ટ કર્યું હતું:
૧. ગુજરાતમાં ચિત્તાનો વસવાટ: મધ્યપ્રદેશ બાદ હવે કેન્દ્ર સરકાર ગુજરાતની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને અહીં પણ ચિત્તાના વસવાટ (Cheetah Reintroduction) અંગે ગંભીરતાથી વિચારી રહી છે. આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ અને વાઇલ્ડલાઇફ નિયમો અનુસાર ટૂંક સમયમાં આ અંગે આખરી નિર્ણય લેવાશે.
૨. ગુજરાતના વાઘને સત્તાવાર માન્યતા: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સ્થાયી થયેલા એક વાઘ (Tiger) અંગે વાત કરતા તેમણે કહ્યું કે, ગુજરાત વન વિભાગે પ્રોટોકોલ મુજબ આ વાઘની હાજરીને સત્તાવાર માન્યતા આપવા માટે કેન્દ્રની મંજૂરી માંગી છે. નિયમો અને ચકાસણીના આધારે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં આ સત્તાવાર મંજૂરી આપશે.
૩. સિંહોના રક્ષણ માટે કડક પગલાં: પાછલા દિવસોમાં સૌરાષ્ટ્રમાં બનેલી સિંહોના મૃત્યુની ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરતા મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે, ગુજરાત વન વિભાગે આ બાબતે તાત્કાલિક યોગ્ય પગલાં લીધા છે અને કેન્દ્રીય વન મંત્રાલય પણ તેના પર સીધી નજર રાખી રહ્યું છે. એશિયાટિક સિંહ એ ભારતનું ગૌરવ છે અને તેમના સંવર્ધન માટે ફંડ કે ટેકનોલોજીની કોઈ કમી આવવા દેવાશે નહીં.
