વડોદરા: દેશના ૮૦મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે સંસ્કારી નગરી વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પરિસરમાં જિલ્લાકક્ષાના રાષ્ટ્રીય પર્વની દબદબાભેર અને ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સવારે ભવ્ય ધ્વજારોહણ કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને પરેડ ગ્રાઉન્ડમાં ખુલ્લી જીપમાં સવાર થઈને વડોદરાવાસીઓનું ઉષ્માભર્યું અભિવાદન ઝીલ્યું હતું. આ ગૌરવમય અવસરે જિલ્લામાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા ૫૬ અધિકારીઓ, કર્મચારીઓ, ખેલાડીઓ અને નાગરિકોને નાયબ મુખ્યમંત્રીના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
“૮૦મો સ્વાતંત્ર્ય દિન માત્ર ઉજવણી નથી, ‘વિકસિત ભારત ૨૦૪૭’ નું પ્રેરણાપીઠ છે”
ધ્વજારોહણ બાદ નગરજનોને સંબોધિત કરતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આપણી આઝાદીની શતાબ્દી ઉજવવામાં હવે માત્ર ૨૦ વર્ષ જ બાકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલો ‘વિકસિત ભારત @૨૦૪૭’ નો સંકલ્પ પૂર્ણ કરવા માટે આ આગામી બે દાયકા અત્યંત મહત્વપૂર્ણ છે. તેથી આ ૮૦મો સ્વાતંત્ર્ય દિન માત્ર એક ઉત્સવ નથી, પરંતુ ભવિષ્યના ૨૦ વર્ષના આયોજન માટેનું મહાન પ્રેરણાપીઠ છે.”
તેમણે ગુજરાતના બે સુપુત્રો- મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના અમૂલ્ય પ્રદાનને યાદ કર્યા હતા. સાથે જ વડોદરાની પવિત્ર ‘સંકલ્પ ભૂમિ’ નો ઉલ્લેખ કરતાં ઉમેર્યું કે, મહારાજા સયાજીરાવ ગાયકવાડે બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિભા ઓળખી તેમને ઉચ્ચ શિક્ષણ માટે સહાય કરી હતી, જેનો લાભ આજે સમગ્ર આઝાદ ભારત મેળવી રહ્યું છે.
વડોદરાના વિકાસ અને જળ સંચયનો નવો રોડમેપ
પોતાના પ્રબોધનમાં નાયબ મુખ્યમંત્રીએ વડોદરા જિલ્લાની માળખાકીય અને જળ વ્યવસ્થાપનની સિદ્ધિઓ રેખાંકિત કરી હતી:
- જળ સંચય અને પૂર નિયંત્રણ: વિશ્વામિત્રી નદીમાં ૨૯.૨૭ લાખ ઘનમીટર ડિસિલ્ટિંગ કામગીરી પૂર્ણ કરાઈ છે. પૂર નિયંત્રણ માટે વિશ્વામિત્રી પર ૧૩ અને સૂર્યા નદી પર ૫ ચેકડેમ બનાવવામાં આવ્યા છે.
- બફર લેકની ભેટ: દેણા ખાતે વિશ્વામિત્રી અને સૂર્યા નદીના સંગમ સ્થાન પર ૨૫ કરોડ લીટરની ક્ષમતા ધરાવતું વિશાળ બફર લેક તૈયાર કરવામાં આવ્યું છે.
- સિંચાઈ અને ગ્રાન્ટ: રૂ. ૬૫૦ કરોડની તાપી-કરજણ લિંક પાઇપલાઇન યોજના કાર્યરત છે. જ્યારે ૧૫મા નાણાપંચ હેઠળ વડોદરા જિલ્લાને રૂ. ૪૭૯ કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ છે.

રોકાણ, રોજગારી અને યુવાધનને અપીલ
રોજગારી ક્ષેત્રે ગુજરાત દેશમાં રોલ મોડલ હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું કે, છેલ્લા ૫ વર્ષમાં સરકારે ૭,૪૦૩ મેગા રોજગાર ભરતીમેળાઓ યોજીને ૬.૫૪ લાખથી વધુ યુવાનોને નોકરીઓ પૂરી પાડી છે. સંબોધનના અંતે તેમણે યુવાનોને કોઈ પણ પ્રકારના વહમ, વાદવિવાદ કે વ્યસનના દુષણથી દૂર રહીને ઈમાનદારીથી દેશના નિર્માણમાં સહયોગ આપવા આહ્વાન કર્યું હતું.
સાંસ્કૃતિક પ્રસ્તુતિ અને ‘એક પેડ મા કે નામ ૨.૦’
કાર્યક્રમ દરમિયાન પોલીસની ૧૯ પ્લાટુન ટુકડીઓ દ્વારા આકર્ષક અને શિસ્તબદ્ધ પરેડ યોજાઈ હતી, તેમજ શાળાના ભૂલકાંઓએ દેશભક્તિસભર સાંસ્કૃતિક નૃત્યો રજૂ કરી વાતાવરણને મંત્રમુગ્ધ કરી દીધું હતું. સમારોહના અંતે નાયબ મુખ્યમંત્રી અને વરિષ્ઠ અધિકારીઓએ પરિસરમાં ‘એક પેડ મા કે નામ ૨.૦’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કર્યું હતું. આ રાષ્ટ્રીય ઉત્સવમાં દંડક બાળકૃષ્ણ શુક્લ, સાંસદ ડો. હેમાંગ જોશી, ધારાસભ્ય કેયુર રોકડિયા, પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, જિલ્લા કલેક્ટર ડો. અનિલ ધામેલિયા સહિતના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં વડોદરાવાસીઓ હાજર રહ્યા હતા
