સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં ભારતે ફરી એકવાર પાકિસ્તાનને રાજદ્વારી મોરચે જોરદાર પછડાટ આપી છે. પાકિસ્તાનના વડાપ્રધાનના ‘જૂઠ્ઠાણાથી ભરેલા’ ભાષણ પર જવાબ આપતા, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના મિશનના પ્રથમ સચિવ, પેટલ ગેહલોતે પાકિસ્તાનની આતંકવાદને પ્રોત્સાહન આપવાની નીતિ પર આકરા પ્રહારો કર્યા હતા.
પેટલ ગેહલોતે પોતાના નિવેદનમાં કહ્યું, “અધ્યક્ષ મહોદય, આ સભાએ સવારે પાકિસ્તાનના વડાપ્રધાન દ્વારા હાસ્યાસ્પદ નાટકો જોયા. તેમણે ફરી એકવાર આતંકવાદને મહિમા આપ્યો જે તેમની વિદેશ નીતિના કેન્દ્રમાં છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે નાટકના કોઈ પણ સ્તર કે જૂઠાણાની કોઈ પણ માત્રા તથ્યોને છુપાવી શકે તેમ નથી.
ગેહલોતે પાકિસ્તાનના બેવડા વલણનો પર્દાફાશ કરતા કહ્યું કે, આ એ જ પાકિસ્તાન છે જેણે ૨૫ એપ્રિલ, ૨૦૨૫ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસીઓના બર્બર હત્યાકાંડ માટે જવાબદાર ‘રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ નામના પાકિસ્તાન-પ્રાયોજિત આતંકવાદી સંગઠનને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
તેમણે કહ્યું કે, “એક એવો દેશ જે આતંકવાદને તૈનાત કરવા અને નિકાસ કરવાની પરંપરામાં લાંબા સમયથી ઊંડો ઉતરી ગયો છે, તેને આ હેતુ માટે સૌથી વાહિયાત વાર્તાઓ રજૂ કરવામાં જરાય શરમ નથી.”
ભારતીય અધિકારીએ પાકિસ્તાનનો જૂનો રેકોર્ડ યાદ કરાવતા કહ્યું કે, પાકિસ્તાને એક દાયકા સુધી ઓસામા બિન લાદેનને આશ્રય આપ્યો હતો, ત્યારે પણ તે આતંકવાદ સામેની લડાઈમાં ભાગીદાર હોવાનો ઢોંગ કરતો હતો. વધુમાં, પાકિસ્તાનના મંત્રીઓએ તાજેતરમાં જ સ્વીકાર્યું છે કે તેઓ દાયકાઓથી આતંકવાદી શિબિરો ચલાવી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, પાકિસ્તાનની આ દંભી નીતિ આ વખતે તેના વડાપ્રધાનના સ્તરે પણ ચાલુ છે, જે આશ્ચર્યજનક નથી. ભારતના આ મક્કમ જવાબથી પાકિસ્તાનની ખોટી વાતોનો પર્દાફાશ થયો છે.
