ગાંધીનગર: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવા અને કર્મચારીઓની વિનંતીઓને ધ્યાને રાખીને રાજ્યભરમાં મોટા પાયે બદલીઓના આદેશ આપવામાં આવ્યા છે. મહેસૂલ વિભાગના આ નિર્ણય હેઠળ નાયબ મામલતદાર (વર્ગ-૩) અને મહેસૂલી તલાટી (વર્ગ-૩) સંવર્ગના અનેક કર્મચારીઓની જિલ્લા ફેરબદલી કરવામાં આવી છે.
નાયબ મામલતદારોની ફેરબદલીની વિગત
મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર હુકમ અનુસાર, કુલ 145 જેટલા નાયબ મામલતદારોની વિવિધ જિલ્લાઓમાં ફેરબદલી કરવામાં આવી છે. આ યાદીમાં વડોદરા જિલ્લાના નાયબ મામલતદાર પ્રશાંત દવેની ભાવનગર ખાતે બદલી કરવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. આ બદલીઓ સંબંધિત કલેક્ટરશ્રીઓ મારફત મળેલી અરજીઓના આધારે કાળજીપૂર્વકની વિચારણા બાદ કરવામાં આવી છે.
207 મહેસૂલી તલાટીઓના બદલીના આદેશ
બીજી તરફ, રાજ્યના મહેસૂલી તંત્રનો પાયો ગણાતા 207 મહેસૂલી તલાટીઓની પણ જિલ્લા ફેરબદલી કરવામાં આવી છે. આ સામૂહિક બદલીઓમાં વડોદરા જિલ્લામાં ફરજ બજાવતા 12 મહેસૂલી તલાટીઓનો પણ સમાવેશ થાય છે, જેમને અન્ય જિલ્લાઓમાં નિમણૂક આપવામાં આવી છે. આ બદલીઓ કર્મચારીઓની ‘સ્વ-વિનંતી’ (Own Request) થી કરવામાં આવી હોવાનું વિભાગીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ચૂંટણીલક્ષી કામગીરી અને શરતો
મહેસૂલ વિભાગના આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે કર્મચારીઓની નિમણૂક હાલમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલી ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, 2026’ ની કામગીરી માટે કરવામાં આવી હોય, તેવા કર્મચારીઓને આ કામગીરી પૂર્ણ થયા બાદ જ છૂટા કરવામાં આવશે. આ સાથે તમામ બદલી પામેલા કર્મચારીઓએ નિયત શરતોનું પાલન કરવાનું રહેશે.
