નડિયાદ: ખેડા જિલ્લાના હૃદય સમાન નડિયાદ શહેરમાં આજથી પરંપરાગત અને સુપ્રસિદ્ધ સંતરામ મેળાનો મંગલ પ્રારંભ થયો છે. યોગીરાજ સંતરામ મહારાજના ૧૯૫માં સમાધિ મહોત્સવના ઉપલક્ષમાં યોજાતા આ મેળામાં ઉમટતી જનમેદનીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા અભેદ્ય સુરક્ષા અને વ્યવસ્થાના ચક્રવ્યૂહ ગોઠવવામાં આવ્યા છે. આજથી એટલે કે 30 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી આ મેળાની રંગત જામશે.
વાહનચાલકો ખાસ નોંધ લે: સંતરામ રોડ બંધ
મેળાના સુચારુ સંચાલન માટે શહેરનો સૌથી વ્યસ્ત એવો બસ સ્ટેન્ડથી પારસ સર્કલ સુધીનો સંતરામ રોડ પાંચ દિવસ માટે તમામ પ્રકારના વાહનો માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.
ડાયવર્ઝન વિગત: બસ સ્ટેન્ડથી પારસ સર્કલ તરફ જવા ઈચ્છતા વાહનચાલકોએ તંત્ર દ્વારા જાહેર કરાયેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે.
રૂટ પ્લાન: યાત્રિકો અને સ્થાનિક રહીશોએ ટ્રાફિક જામની સમસ્યાથી બચવા માટે ડાયવર્ઝન મુજબ પોતાનો રૂટ પ્લાન કરવા અનુરોધ કરાયો છે.
રાઈડ્સ અને ચગડોળનું આકર્ષણ
સંતરામ મંદિરનું પટાંગણ અને ચેતક ગ્રાઉન્ડ અત્યારે નાની-મોટી ચગડોળો, આધુનિક રાઈડ્સ અને વિવિધ મનોરંજનના સાધનોથી ઉભરાઈ રહ્યું છે. માર્ગની બંને બાજુએ પાથરણા બજાર અને ખાણી-પીણીના સ્ટોલ્સ પણ સજ્જ થઈ ગયા છે. મોડી સાંજથી જ નડિયાદ અને આસપાસના ગામડાઓમાંથી લોકો પરિવાર સાથે મેળાની મોજ માણવા ઉમટી રહ્યા છે.
પોલીસનું લોખંડી બંદોબસ્ત
મેળામાં કોઈ અણબનાવ ન બને અને લોકો નિર્ભયપણે મજા માણી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા સજ્જડ આયોજન કરાયું છે:
- ભીડભાડવાળા વિસ્તારોમાં સતત પોલીસ પેટ્રોલિંગ.
- CCTV કેમેરા દ્વારા કંટ્રોલ રૂમમાંથી સતત નિરીક્ષણ.
- ટ્રાફિક પોલીસની અલગ-અલગ ટીમો વિવિધ પોઈન્ટ્સ પર તૈનાત.
- ખિસ્સાકાતરૂઓ અને આવારા તત્વો પર વિશેષ નજર.
વહીવટી તંત્રના મતે, આ પાંચ દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સંતરામ મહારાજના દર્શન કરી મેળાનો લ્હાવો લેશે.
