- નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ
- ડેડીયાપાડાના મહિલા ખેડૂતે રાસાયણિક ખેતી છોડી અપનાવી ગાય આધારિત ખેતી
- અન્ય મહિલાઓ માટે બન્યા પ્રેરણારૂપ
- મહિલા ખેડૂત શર્મિલાબેન વસાવાની સફળતાની ગાથા, ખેતરમાં ઉગાડી ૧૦ ફૂટ ઊંચી પ્રાકૃતિક તુવેર
નર્મદા: આજે જ્યારે રાસાયણિક ખેતીના કારણે જમીન અને સ્વાસ્થ્ય બંને બગડી રહ્યા છે, ત્યારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના એક મહિલા ખેડૂતે નવી રાહ ચીંધી છે. શર્મિલાબેન વસાવાએ ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અને ‘આત્મા’ (ATMA) પ્રોજેક્ટના યોગ્ય માર્ગદર્શન હેઠળ ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી અપનાવીને આત્મનિર્ભર બનવાની પ્રેરણાદાયી સફર શરૂ કરી છે.
૧૦ ફૂટ ઊંચા તુવેરના છોડ: આકર્ષણનું કેન્દ્ર
શર્મિલાબેન વસાવાના ખેતરમાં આ વર્ષે જોવા મળેલો નજારો આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેમણે પ્રાકૃતિક પદ્ધતિથી તુવેરનું વાવેતર કર્યું છે, જેના છોડની ઊંચાઈ ૧૦ ફૂટથી પણ વધુ જોવા મળી રહી છે. રાસાયણિક ખાતર વગર તૈયાર થયેલા આ મજબૂત અને ફળદ્રુપ છોડ પ્રાકૃતિક ખેતીની શક્તિનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે.
ઘરે બેઠા માર્કેટિંગ અને વૈવિધ્યસભર પાક
શર્મિલાબેન માત્ર તુવેર જ નહીં, પરંતુ પોતાના ખેતરમાં વિવિધ પાકોનું પણ વાવેતર કરે છે. જેમાં તેઓ લસણ, કોબીજ અને હળદર જેવા પાકોની સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરે છે. આ ઉપરાંત કોઈપણ વચેટિયા વગર ઘરેથી જ સીધું માર્કેટિંગ કરીને સારી આવક મેળવી રહ્યા છે. એટલું જ નહીં ઝીરો બજેટ ખેતી હોવાથી ખેતી ખર્ચમાં મોટો ઘટાડો અને નફામાં વધારો થયો છે.
મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ
આજે ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓ માત્ર ઘરકામ પૂરતી સીમિત ન રહેતા પ્રાકૃતિક ખેતી દ્વારા આર્થિક રીતે સદ્ધર બની રહી છે. શર્મિલાબેનની આ સફળતા ગ્રામ્ય મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમણે આ સફળતા બદલ ગુજરાત સરકાર, રાજ્યપાલ, ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ, આત્મા પ્રોજેક્ટ અને બાગાયત વિભાગનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
