નવી દિલ્હી: વર્તમાનમાં વિશ્વમાં ચાલી રહેલી ભૌગોલિક-રાજકીય ખેંચતાણ અને તેને કારણે ઈંધણના પુરવઠામાં આવી રહેલા અવરોધોને ધ્યાને રાખીને ભારત સરકારના મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. દેશમાં રાંધણ ગેસ (LPG) ના પુરવઠા પર અસર ન પડે તે માટે સરકારી ઓઈલ કંપનીઓએ તૈયારીઓ તેજ કરી દીધી છે. નવા આદેશ મુજબ, ગેસના જથ્થાની ફાળવણીમાં હવે સામાન્ય લોકોના ઘર અને હોસ્પિટલો કે શૈક્ષણિક સંસ્થાઓ જેવી જીવનજરૂરી સેવાઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે.
કોમર્શિયલ સેક્ટર માટે હવે નિયમો કડક
જો કોઈ હોટલ, રેસ્ટોરન્ટ કે ફેક્ટરી જેવા કોમર્શિયલ સેક્ટરને ગેસનો જથ્થો જોઈતો હશે, તો હવે તેમને સીધો પુરવઠો નહીં મળે. આ સેક્ટર્સ માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓના ત્રણ મોટા અધિકારીઓની (એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર્સ) એક ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી તપાસશે કે જે-તે સંસ્થાને ગેસની ખરેખર કેટલી જરૂર છે અને હાલમાં કંપની પાસે ગેસનો કેટલો સ્ટોક ઉપલબ્ધ છે, ત્યારબાદ જ જથ્થો રિલીઝ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.

કમિટીના મુખ્ય સભ્યો અને સંપર્ક વિગત
આ સ્પેશિયલ કમિટીમાં ત્રણ મુખ્ય સરકારી તેલ કંપનીઓના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે:
- કે. શૈલેન્દ્ર (K Sailendra): ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)
- ટી.વી. પાંડિયન (T V Pandiyan): ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL)
- ધ્રુવ કપિલ (Dhruv Kapil): હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (HPCL)
જરૂરિયાત હોય તો કેવી રીતે કરવી અરજી?
જે સંસ્થાઓને ગેસની તાતી જરૂરિયાત હોય, તેમણે આ અધિકારીઓને સત્તાવાર ઈમેલ (indanecareho@indianoil.in, edlpg@bharatpetroleum.in, lpg.sbu.head@hpcl.in) કરીને જાણ કરવાની રહેશે. કમિટી દરેક વિનંતીની યોગ્યતા, ઉપલબ્ધતા અને અગ્રતાના આધારે નિર્ણય લેશે. સરકારનો મુખ્ય હેતુ એ છે કે આંતરરાષ્ટ્રીય કટોકટીમાં પણ સામાન્ય નાગરિકોના રસોડા પર કોઈ આંચ ન આવે અને હોસ્પિટલ જેવી સેવાઓ અવિરત ચાલુ રહે.
