અંબાજી: બનાસકાંઠા જિલ્લામાં આવેલું આદ્યશક્તિનું પવિત્ર ધામ અંબાજી હવે આધુનિકતાના રંગે રંગાયું છે. લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન અંબાજી મંદિર હવે ભક્તો માટે ડિજિટલ બન્યું છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓની સુવિધા માટે એક અત્યાધુનિક મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપ દ્વારા ભક્તોને હવે એક જ પ્લેટફોર્મ પર તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે.

કલેક્ટરના હસ્તે એપનું લોન્ચિંગ
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલના હસ્તે આ મોબાઈલ એપ વિધિવત રીતે લોન્ચ કરવામાં આવી હતી. આ એપ ગૂગલ પ્લે સ્ટોર (Android) અને એપલ આઈ સ્ટોર (iOS) બંને પર ઉપલબ્ધ કરાવાઈ છે. આ પ્રસંગે કલેક્ટરે જણાવ્યું હતું કે, ડિજિટલ માધ્યમથી ભક્તો વધુ પારદર્શિતા અને સરળતા સાથે મંદિરની સેવાઓનો લાભ લઈ શકશે.

એપમાં મળશે આ ખાસ સુવિધાઓ
આ એપ ભક્તો માટે ઘણી રીતે ઉપયોગી સાબિત થશે, જેમાં મંદિરમાં દર્શન ક્યારે ખુલશે અને આરતીનો ચોક્કસ સમય શું છે તેની લાઈવ અપડેટ મળશે. તેમજ જનરલ ડોનેશન, સુવર્ણ શિખર દાન અને ભોજનાલય માટેનું દાન સીધું એપથી કરી શકાશે. આ ઉપરાંત અંબાજી મંદિરના સુપ્રસિદ્ધ મોહનથાળ પ્રસાદનું ઓનલાઇન બુકિંગ કરાવી શકાશે. એટલું જ નહીં મંદિરના ઈ-સ્ટોર પરથી પૂજાની સામગ્રી કે ધાર્મિક વસ્તુઓની ખરીદીની સુવિધા પણ એપમાં ઉપલબ્ધ કરાઈ છે.
ચૈત્ર નવરાત્રીમાં ભક્તોને થશે મોટો ફાયદો
ટૂંક સમયમાં જ ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ નવ દિવસો દરમિયાન લાખો ભક્તો મા અંબાના દર્શને ઉમટી પડતા હોય છે. નવરાત્રી દરમિયાન ભક્તોની ભીડને જોતા મંદિર પ્રશાસન ઘણીવાર આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરતું હોય છે, જેની માહિતી હવે ભક્તોને આ એપ દ્વારા ત્વરિત મળી રહેશે. નવમા નોરતે ગરબા અને વિશેષ પૂજાના આયોજનની વિગતો પણ એપ પર ઉપલબ્ધ રહેશે, જેનાથી યાત્રાળુઓ પોતાની મુલાકાતનું આયોજન અગાઉથી કરી શકશે.
