અંબાજી: આવતીકાલથી આદ્યશક્તિની આરાધનાના પર્વ એટલે કે ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ પર્વને લઈને શક્તિપીઠ અંબાજી અને પાવાગઢ સહિતના યાત્રાધામોમાં માઈભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રી દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે, જેને ધ્યાને રાખીને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી છે.
નવરાત્રી દરમિયાન દર્શન અને આરતીનું શિડ્યુલ
ટ્રસ્ટની યાદી મુજબ, ચૈત્ર સુદ ૧ (એકમ) તા. ૧૯/૦૩/૨૦૨૬ થી ચૈત્ર સુદ ૮ (આઠમ) તા. ૨૬/૦૩/૨૦૨૬ સુધી માતાજીના દર્શનનો સમય નીચે મુજબ રહેશે:
- ઘટ સ્થાપન (એકમ): ૧૯ માર્ચ, ગુરુવારના રોજ સવારે ૦૭:૩૦ કલાકે.
- સવારની આરતી: સવારે ૦૭:૦૦ થી ૦૭:૩૦ કલાકે.
- સવારના દર્શન: સવારે ૦૭:૩૦ થી ૧૧:૩૦ કલાકે.
- રાજભોગ: બપોરે ૧૨:૦૦ કલાકે.
- બપોરના દર્શન: બપોરે ૧૨:૩૦ થી ૧૬:૩૦ કલાકે.
- સાંજની આરતી: સાંજે ૧૯:૦૦ થી ૧૯:૩૦ કલાકે.
- સાંજના દર્શન: સાંજે ૧૯:૩૦ થી ૨૧:૦૦ કલાકે.
આઠમ અને પૂનમના વિશેષ ફેરફાર
નવરાત્રીની આઠમ અને ચૈત્ર પૂનમના દિવસે આરતી વહેલી યોજાશે.
- ચૈત્ર સુદ આઠમ (૨૬ માર્ચ): આરતી સવારે ૦૬:૦૦ કલાકે યોજાશે.
- ચૈત્ર પૂનમ (૦૨ એપ્રિલ): આરતી સવારે ૦૬:૦૦ કલાકે યોજાશે.
નોંધનીય છે કે, ૨૯ માર્ચ ૨૦૨૬ થી દર્શન અને આરતીનો સમય ફરીથી રાબેતા મુજબ થઈ જશે.
યાત્રિકો માટે સુવિધાઓ
ચૈત્ર નવરાત્રીમાં ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા પીવાના પાણી, છાંયડા અને લાઈન વ્યવસ્થા માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. પાવાગઢ અને અંબાજી જેવા શક્તિપીઠોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે જેથી યાત્રિકો શાંતિપૂર્વક દર્શન કરી શકે.
