ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળનું આજે વિસ્તરણ કરવામાં આવ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર પરિસરમાં આયોજિત ગૌરવશાળી સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નવા મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ ગ્રહણ કરાવ્યા હતા.
આ શપથવિધિ સમારોહમાં કુલ ૨૧ નવા પદનામિત મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં નાયબ મુખ્યમંત્રી (Deputy Chief Minister) સહિત પાંચ કેબિનેટ મંત્રી, રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર)ના ત્રણ મંત્રી અને રાજ્યકક્ષાના ૧૨ મંત્રીશ્રીઓનો સમાવેશ થાય છે.
નાયબ મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓ:
સૌથી મહત્ત્વપૂર્ણ જાહેરાત તરીકે હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકે ઈશ્વરના નામે શપથ લીધા. આ ઉપરાંત, પાંચ નવા કેબિનેટ મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા, જેમાં સર્વ જીતેન્દ્ર વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવાડીયા, ડૉ. પ્રદ્યુમ્ન વાજા અને રમણ સોલંકીનો સમાવેશ થાય છે.
યથાવત રહેલા મંત્રીઓ:
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અગાઉના મંત્રીમંડળના ચાર અગ્રણી મંત્રીઓને નવા મંત્રીમંડળમાં યથાવત રાખવામાં આવ્યા છે. જેમાં કેબિનેટ મંત્રી તરીકે કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળીયા તથા રાજ્ય કક્ષાના મંત્રી પરષોત્તમ સોલંકીનો સમાવેશ થાય છે.
રાજ્ય કક્ષાના મંત્રીઓની યાદી:
રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) ધરાવતા મંત્રી તરીકે ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ્લ પાનસેરીયા તથા મનિષા વકીલે શપથ લીધા હતા. જ્યારે અન્ય ૧૨ રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા, જેમાં કાંતિલાલ અમૃતિયા, રમેશ કટારા, દર્શના વાઘેલા, કૌશીક વેકરીયા, પ્રવિણકુમાર માળી, ડૉ. જયરામ ગામીત, ત્રિકમ છાંગા, કમલેશ પટેલ, સંજયસિંહ મહિડા, પી.સી. બરંડા, સ્વરૂપજી ઠાકોર અને રિવાબા જાડેજાનો સમાવેશ થાય છે.
આ ગૌરવશાળી શપથવિધિ સમારોહમાં ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જગતપ્રકાશ નડ્ડા, ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રી સર્વ મનસુખ માંડવીયા, સી. આર. પાટીલ સહિતના વરિષ્ઠ નેતાઓ, સાધુ સંતો અને વિવિધ વર્ગોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય સચિવ પંકજ જોષીએ સમગ્ર સમારોહનું સંચાલન કર્યું હતું.
