નડિયાદ: ખેડા જિલ્લાના માતર અને નડિયાદ ખાતે ભાજપાના ઉમેદવારોના સમર્થનમાં આયોજિત જાહેરસભાઓને સંબોધિત કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, નડિયાદની ભૂમિએ દેશને સરદાર પટેલ જેવા લોખંડી પુરુષ આપ્યા છે અને નડિયાદ મહાનગરપાલિકાની આ પ્રથમ ચૂંટણીમાં ભાજપના તમામ 52 ઉમેદવારો ઐતિહાસિક વિજય મેળવશે તેવો મક્કમ વિશ્વાસ છે.
વિકાસની રાજનીતિ વિરુદ્ધ પરિવારવાદ
જગદીશ વિશ્વકર્માએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું કે, પ્રધાનમંત્રીએ જ્ઞાતિવાદ, જાતિવાદ અને પ્રાંતવાદના જૂના રાજકારણને તિલાંજલિ આપીને વિકાસના નવા યુગનો પ્રારંભ કર્યો છે. બીજી તરફ, આઝાદી બાદ 60 વર્ષ સુધી શાસન કરનાર કોંગ્રેસ માટે સત્તા માત્ર પરિવારવાદ અને જનતાના શોષણનું સાધન બની રહી હતી. કોંગ્રેસે હંમેશા ભારતીયોને માત્ર મજૂરી કરતા વર્ગ તરીકે જ જોયા છે.
કોંગ્રેસના ‘કાળા દિવસો’ અને ખેડૂતો પર અત્યાચાર
પ્રદેશ અધ્યક્ષે કોંગ્રેસના શાસનકાળના કાળા દિવસો યાદ અપાવતા જણાવ્યું હતું કે, 19 માર્ચ 1987ના રોજ કોંગ્રેસ શાસનમાં 19 નિર્દોષ ખેડૂતો પર ગોળીઓ ચલાવી તેમને શહીદ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના સમયમાં ખેડૂતોને વાળુ (રાત્રિ ભોજન) સમયે પણ વીજળી નહોતી મળતી, જ્યારે આજે ભાજપ સરકારમાં 24 કલાક અને દિવસે વીજળી ઉપલબ્ધ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન મોદી અને ગુજરાતીઓનું વારંવાર કરવામાં આવતું અપમાન જનતા ક્યારેય સહન નહીં કરે.
ખેડૂતલક્ષી નિર્ણયો અને વિકાસગાથા
સરકારની સિદ્ધિઓ ગણાવતા તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન બનતાની સાથે જ મોદીજીએ માત્ર 17 દિવસમાં નર્મદા ડેમના દરવાજા મૂકવાની મંજૂરી આપી ગુજરાતની પાણીની તંગી દૂર કરી હતી. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ખેડૂતોને અતિવૃષ્ટિમાં 10 હજાર કરોડની સહાય અને ટેકાના ભાવે 15 હજાર કરોડની ખરીદી દ્વારા મજબૂત કરી રહી છે.
બિનહરીફ જીત અને વિજયનું આહ્વાન
જે પક્ષ પોતાના મેન્ડેટ આપેલા ઉમેદવારોને પણ નથી સાચવી શકતો તે દેશનું શું ભલું કરશે? તેવો સવાલ ઉઠાવી જગદીશ વિશ્વકર્માએ અનેક બેઠકો પર ભાજપાની બિનહરીફ જીતને વધાવી હતી. તેમણે આગામી 26 એપ્રિલે જંગી મતદાન કરી ‘વિકાસના કમળ’ને વધુ મજબૂત કરવા મતદારોને હાકલ કરી હતી.
