રાજપીપળા (નર્મદા): ગુજરાત ભાજપ સરકારના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત એક ગૌરવશાળી કાર્યક્રમમાં નર્મદા જિલ્લા ભાજપનું આંતરિક રાજકારણ અને જૂથવાદ ભડભડ સળગી ઉઠ્યો છે. રાજપીપળાના આંબેડકર હોલ ખાતે યોજાયેલા ‘પ્રબુદ્ધ નાગરિકોના સન્માન કાર્યક્રમ’ દરમિયાન નાંદોદના લોકપ્રિય આદિવાસી મહિલા ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખનું જાહેરમાં અપમાન થતાં તેઓ સ્ટેજ પરથી વોકઆઉટ કરી ગયા હતા. એટલું જ નહીં, રુદ્ર સ્વરૂપ ધારણ કરીને તેઓ જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સામે હોલની બહાર જ ધરણાં પર બેસી જતાં સમગ્ર રાજ્યના રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
આ હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો ત્યારે સ્ટેજ પર પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને પૂર્વ વનમંત્રી ગણપત વસાવા જેવા દિગ્ગજ નેતાઓ હાજર હતા, જેમની નજર સામે જ આખી ઘટના ઘટી હતી.
ધારાસભ્ય અને સંગઠનમાંથી રાજીનામું આપવાની ચીમકી
ધરણાં પર બેઠેલા ડૉ. દર્શનાબેન દેશમુખે મીડિયા સાથેની વાતચીતમાં રડમસ અવાજે પોતાનો આક્રોશ ઠાલવતા સંગઠન અને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દેવાની ગંભીર ચીમકી ઉચ્ચારી છે. તેમણે આરોપ લગાવ્યો કે, “જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ દ્વારા છેલ્લા બે વર્ષથી મારું સતત અને પદ્ધતિસરનું અપમાન કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગરના એક મોટા મંત્રીની પીઠબળ (આશીર્વાદ) હોવાના કારણે જ આ જિલ્લા પ્રમુખ પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને પક્ષને નુકસાન પહોંચાડી રહ્યા છે.”
“શું અમે ગુલામ છીએ?” – ધારાસભ્યે ઠાલવી આપવીતી
મીડિયા સામે વાતચીત કરતી વખતે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ભાવુક થઈ ગયા હતા અને પ્રોટોકોલના ભંગ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. કાર્યક્રમમાં સ્વાગત વિધિ પૂર્ણ થઈ ગઈ હતી. પરંતુ જ્યારે સંબોધન (ભાષણ)નો સમય આવ્યો, ત્યારે જિલ્લા પ્રમુખ નીલ રાવની કથિત સૂચના મુજબ વક્તાઓની યાદીમાંથી ધારાસભ્યનું નામ જ ગાયબ કરી દેવાયું અને સંબોધનમાં તેમનું નામ પણ બોલવામાં ન આવ્યું. આથી જ્યારે સાંસદ મનસુખ વસાવા સંબોધન માટે ઉભા થયા, ત્યારે જ દર્શનાબેન વિરોધ નોંધાવી સ્ટેજ છોડી ગયા હતા.
દર્શનાબેને આક્રોશ સાથે પૂછ્યું, “શું હું એક મહિલા ધારાસભ્ય છું એટલા માટે મારું વારંવાર અપમાન કરવાનું? મારા પોતાના જ મતવિસ્તારના સરકારી કાર્યક્રમમાં શું મને બોલવાનો પણ અધિકાર નથી? હું ૨૭ વર્ષથી આ પાર્ટી માટે લોહી-પરસેવો બહાવીને કામ કરું છું. હું આદિવાસી છું અને મહિલા છું માટે મારે જિલ્લા પ્રમુખના રોષનો વારંવાર ભોગ બનવું પડે છે. શું અમે ગુલામ છીએ?”
તેમણે ઉમેર્યું કે, “આ નાના જિલ્લાનો પ્રમુખ જ્યારે પોતાની એક આદિવાસી મહિલા પ્રત્યેની હલકી માનસિકતા છતી કરે છે, ત્યારે તે ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ નુકસાનકારક સાબિત થાય છે. તે માત્ર સ્વાર્થની રાજનીતિ કરી રહ્યો છે. કહેવત છે ને કે, ‘કૂતરાની પૂછડી જમીનમાં દાટો તો પણ વાંકીને વાંકી જ રહેવાની’. હું છેલ્લા એક વર્ષથી હાઈકમાન્ડને રજૂઆત કરું છું પણ કોઈ કાર્યવાહી થતી નથી. મને રાજીનામું આપવામાં કોઈ ડર નથી, પણ સ્વાભિમાનના ભોગે હું કામ નહીં કરું.”
સાંસદ મનસુખ વસાવાનું ધારાસભ્યને ખુલ્લું સમર્થન
નર્મદા ભાજપના આ આંતરિક વિખવાદમાં ત્યારે નવો વળાંક આવ્યો જ્યારે પ્રદેશના કદાવર આદિવાસી નેતા અને સાંસદ મનસુખ વસાવા ખુલ્લેઆમ ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખના સમર્થનમાં આવ્યા હતા. મનસુખ વસાવાએ ધારાસભ્યના ધરણાંને ટેકો જાહેર કરીને જિલ્લા પ્રમુખ નીલ રાવના વર્તન સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. ભાજપના અન્ય સ્થાનિક નેતાઓ અને કાર્યકરોમાં પણ જિલ્લા પ્રમુખના આવા અહંકારી વર્તન સામે અંદરખાને ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ભરી સભામાં મહિલા ધારાસભ્યના અપમાનનો આ મુદ્દો હવે ગાંધીનગર કમલમ (ભાજપ પ્રદેશ કાર્યાલય) સુધી પહોંચ્યો છે અને પ્રદેશ પ્રમુખ આ મામલે કેવા પગલાં લે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
