નર્મદા: ગુજરાતમાં ધર્માંતરણ વિરોધી કાયદો અમલી હોવા છતાં નર્મદા જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં મોટા પાયે ધર્માંતરણની પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપો સાથે રાષ્ટ્રીય આદિજાતિ મંચ મેદાને આવ્યું છે. મંચ દ્વારા ડેડિયાપાડા પ્રાંત અધિકારીને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે, જેમાં જિલ્લામાં ચાલી રહેલા ધર્માંતરણના ખેલને તાત્કાલિક અટકાવવા અને જવાબદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.
સરકારના ચોપડે કોઈ ખ્રિસ્તી નથી, તો કાર્યક્રમોની મંજૂરી કેમ?
રાષ્ટ્રીય આદિજાતિ મંચના હોદ્દેદારોએ વહીવટી તંત્ર સામે આકરા સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, “અમારા વિસ્તારમાં સરકારના સત્તાવાર રેકોર્ડ પર એક પણ ખ્રિસ્તી નોંધાયેલા નથી, તેમ છતાં પણ અમુક વિસ્તારોમાં ખ્રિસ્તી ધર્મના કાર્યક્રમોની ઉજવણી માટે પરવાનગી કેમ આપવામાં આવે છે?” મંચનો આક્ષેપ છે કે ડેડિયાપાડા, સાગબારા અને ચિકદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભોળા આદિવાસીઓને લાલચ આપી કે ગેરમાર્ગે દોરી ખ્રિસ્તી બનાવવામાં આવી રહ્યા છે.
આંદોલનની રણનીતિ અને કાયદાકીય કાર્યવાહીની માંગ
મંચે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો આવા કાર્યક્રમોની પરવાનગી આપવાનું બંધ કરવામાં નહીં આવે અને ધર્માંતરણ રોકવામાં તંત્ર નિષ્ફળ જશે, તો આગામી સમયમાં મોટું આંદોલન કરવામાં આવશે. ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ હેઠળ, બળજબરી કે પ્રલોભનથી ધર્માંતરણ કરાવનારા તત્વો વિરુદ્ધ પોલીસે તાત્કાલિક ગુનો નોંધી ધરપકડ કરવી જોઈએ. આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓને બચાવવા માટે સ્થાનિક પ્રશાસને સતર્ક રહેવું જરૂરી છે. નર્મદા જિલ્લાના આ સંવેદનશીલ મુદ્દે હવે પોલીસ અને વહીવટી તંત્ર કેવા પ્રકારના પગલાં ભરે છે તેના પર સૌની નજર ટકેલી છે.
