નર્મદા/વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસમાં હવામાનના કારણે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં ચાલી રહેલા કમોસમી અને ભારે વરસાદના વાતાવરણને કારણે, વડોદરાથી એકતાનગર (કેવડિયા) સુધી હેલિકોપ્ટર ઉડી શકે તેવી શક્યતા ન હોવાથી, વડાપ્રધાન હવે બાય રોડ પ્રવાસ કરવા માટે રવાના થયા છે.
આ નિર્ણયને પગલે પ્રધાનમંત્રી મોદી હવે વડોદરા એરપોર્ટ પરથી ઉતરાણ કર્યા બાદ, તેમના કાફલા સાથે સડક માર્ગે એકતાનગર પહોંચશે. તેમનો રૂટ ગોલ્ડન ચોકડી, કપુરાઈ ચોકડી, ડભોઇ થઈને એકતા નગર ખાતે પહોંચવાનો રહેશે.
પોલીસનો સઘન બંદોબસ્ત:
પ્રધાનમંત્રીના બાય રોડ પ્રવાસને ધ્યાનમાં રાખીને, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાની પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર ટ્રાફિકની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ રૂટ પર સામાન્ય જનતાને અગવડ ન પડે અને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
અગાઉ પણ વરસાદે કરાવ્યો હતો પ્રવાસ બદલ:
આ પહેલો પ્રસંગ નથી જ્યારે હવામાનને કારણે વડાપ્રધાનનો પ્રવાસ બદલવો પડ્યો હોય. આ પહેલાં વર્ષ ૨૦૧૭માં સરદાર સરોવર નર્મદા ડેમના લોકાર્પણ સમયે પણ ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાય રોડ મુસાફરી કરવી પડી હતી.