ગાંધીનગર: ગુજરાત પોલીસે ફરી એકવાર પોતાની માનવતા અને બહાદુરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગાંધીનગર નજીક, મુખ્યમંત્રીના બંદોબસ્તમાં તૈનાત એક પોલીસકર્મીએ પોતાના જીવની પરવાહ કર્યા વિના નર્મદા કેનાલમાં કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કરી રહેલા એક યુવક અને એક યુવતીનો જીવ બચાવી લીધો છે.
આજે ઈન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુખ્યમંત્રીના બંદોબસ્ત માટે સાંતેજ પોલીસ સ્ટેશનમાંથી આવેલા એએસઆઈ વિષ્ણુભાઈ નારણભાઈને નર્મદા કેનાલ ઉપરનો પોઈન્ટ આપવામાં આવ્યો હતો. તેઓ નર્મદા કેનાલ ઉપર પોતાની ફરજ પર હતા, તે દરમિયાન તેમણે દૂરથી જોયું કે એક છોકરો અને એક છોકરી આત્મહત્યા કરવા માટે કેનાલમાં કૂદી પડ્યા છે.
@CMOGuj@dgpgujarat#gandhinagar pic.twitter.com/hWCIq0BfE4— Gandhinagar police (@police_Gnagar) August 18, 2025
આ દ્રશ્ય જોતા જ વિષ્ણુભાઈએ તાત્કાલિક તેમને બચાવવા માટે દોટ મૂકી. આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા અને પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, એએસઆઈ વિષ્ણુભાઈ અને તેમની સાથે એક અન્ય નાગરિક પણ આ યુવક-યુવતીને બચાવવા માટે કેનાલમાં કૂદી પડ્યા હતા. ભારે જહેમત બાદ બંને યુવક-યુવતીને હેમખેમ બહાર કાઢીને બચાવી લેવામાં આવ્યા હતા.
આ બહાદુરીભર્યા કાર્ય બાદ, યુવક-યુવતીને તાત્કાલિક ‘જીવન આસ્થા કેન્દ્ર’ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસની આ પ્રશંસનીય કામગીરીની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે. ગૃહ રાજ્ય મંત્રીએ પણ એ.એસ.આઈ. વિષ્ણુભાઈની આ પ્રસંશનીય અને સાહસિક કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા છે.
