વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના પ્રતાપનગર રેલવે કોલોનીમાં એક અત્યંત ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. રેલવેમાં ખલાસી તરીકે નોકરી કરતી રેખા રાઠવા નામની યુવતીએ તેના જ મંગેતર અને લિવ-ઈન પાર્ટનર સચિન રાઠવાની નિર્મમ હત્યા કરી નાખી છે. ઇન્સ્ટાગ્રામ દ્વારા સંપર્કમાં આવેલા આ કપલના ત્રણ વર્ષના સંબંધોનો અંત લોહીયાળ તકરારમાં પરિણમ્યો છે.
ઊંઘમાં જ મોતને ઘાટ ઉતાર્યો, પછી રચ્યું નાટક
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, સચિન અને રેખા છેલ્લા ત્રણ વર્ષથી લિવ-ઈન રિલેશનમાં રહેતા હતા અને બંનેએ સગાઈ પણ કરી લીધી હતી. જોકે, સચિન વારંવાર રેખા પર શંકા કરતો હોવાથી બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ગત ૩૦ તારીખે પણ ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેમાં સચિને સગાઈ તોડી નાખવાની અને લગ્ન ન કરવાની ધમકી આપી હતી. આ વાતથી ઉશ્કેરાયેલી રેખાએ સચિન જ્યારે ઊંઘતો હતો ત્યારે તેના જ દુપટ્ટા વડે ગળું દબાવી તેની હત્યા કરી નાખી હતી.
પોલીસને ૩ દિવસ ગેરમાર્ગે દોરી, PM રિપોર્ટે ભેદ ઉકેલ્યો
હત્યા કર્યા બાદ આરોપી રેખાએ અત્યંત શાતિર રીતે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે સચિનનું ઊંઘમાં જ કુદરતી રીતે મોત થયું છે. જોકે, પોલીસને શંકા જતાં સચિનના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલવામાં આવ્યો હતો. પીએમ રિપોર્ટમાં ગળેફાંસો આપી શ્વાસ રૂંધવાથી મોત થયું હોવાનું ખૂલતા જ પોલીસની શંકા રેખા પર દ્રઢ બની હતી.
ACP પ્રણવ કટારિયાનું નિવેદન
એસીપી (એફ ડિવિઝન) પ્રણવ કટારિયાએ આ મામલે નિવેદન આપતા જણાવ્યું કે, “રેખાએ અગાઉ પોલીસને ગુમરાહ કરી હતી, પરંતુ સઘન પૂછપરછમાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે. સચિન તેની પર શંકા કરતો હોવાથી તેણે હત્યાનો પ્લાન ઘડ્યો હતો.” મકરપુરા પોલીસે હવે રેખા રાઠવા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આ હત્યામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તે અંગે પણ ઝીણવટભરી તપાસ ચાલુ છે.
