આણંદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’’ અને ‘‘વોકલ ફોર લોકલ’’ ના મંત્રને આણંદમાં અદભૂત સફળતા મળી રહી છે. આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાંગોડપુરા રોડ સ્થિત “પ્રમુખસ્વામી અર્બન કોમ્યુનિટી હોલ” ખાતે આયોજિત ત્રિ-દિવસીય “સશક્ત નારી મેળા” ના પહેલા જ દિવસે ખરીદદારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. સખી મંડળની બહેનો દ્વારા સંચાલિત 95 સ્ટોલ્સ પરથી પ્રથમ દિવસે જ અંદાજે ₹2.82 લાખનું માતબર વેચાણ નોંધાયું છે.
અધિકારીઓએ પરિવાર સાથે ખરીદી કરી પૂરું પાડ્યું પ્રોત્સાહન
મેળામાં માત્ર સામાન્ય નાગરિકો જ નહીં, પરંતુ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ પણ હાજરી આપી મહિલા કારીગરોનો ઉત્સાહ વધાર્યો હતો. આણંદ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી (DDO) સુશ્રી દેવાહુતી અને ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ (GLPC) ગાંધીનગરના માર્કેટિંગ વિભાગના જનરલ મેનેજર શ્વેતાબેન અગથ સહિત વિવિધ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાના પરિવાર સાથે મેળાની મુલાકાત લીધી હતી અને સ્વદેશી વસ્તુઓની ખરીદી કરી હતી.
લખપતિ દીદી બનવાની સફરની શરૂઆત
આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને શહેરી વિસ્તારની બહેનોને સીધું બજાર પૂરું પાડવાનો છે. પહેલા દિવસે થયેલું લાખોનું વેચાણ સૂચવે છે કે આણંદની જનતા સ્વદેશી વસ્તુઓને પ્રાધાન્ય આપી રહી છે. આ આર્થિક સફળતાથી સખી મંડળની બહેનોની ‘લખપતિ દીદી’ બનવાની દિશામાં મક્કમ શરૂઆત થઈ છે.
મેળામાં મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી હેન્ડમેડ જ્વેલરી, હેન્ડીક્રાફ્ટ, મસાલા, પાપડ અને શણગારની વસ્તુઓનું સૌથી વધુ વેચાણ જોવા મળ્યું હતું. આ મેળો ૨૩ ડિસેમ્બર સુધી ચાલનાર છે, જેનો લાભ લેવા અને નારી શક્તિને પ્રોત્સાહિત કરવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
