સુરત: ગણેશ ચતુર્થીના ઉત્સાહભર્યા માહોલ વચ્ચે સુરત શહેરમાં એક ગંભીર દુર્ઘટના થતા માંડ માંડ બચી છે. શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા ‘ગાર્ડન ગ્રુપ’ દ્વારા આયોજિત ગણપતિના આગમન કાર્યક્રમમાં સ્ટેજ તૂટી પડતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને લોકોને સામાન્ય ઇજાઓ જ પહોંચી છે.
શનિવારે રાત્રે શ્રીજીના આગમન પહેલા આ ઘટના બની હતી. ગણેશજીના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ દરમિયાન, ઘણા લોકો સ્ટેજ પર ચડી ગયા હતા, જેના કારણે ક્ષમતા કરતાં વધુ વજનને લીધે સ્ટેજ અચાનક ધરાશાયી થઈ ગયું હતું.
જેવો સ્ટેજ તૂટ્યો, ત્યાં હાજર લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મહિલાઓ સહિત લગભગ ૪૦ થી ૫૦ લોકો સ્ટેજ પરથી નીચે પટકાયા હતા. આ ઘટના બાદ તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
આ ઘટના ગણપતિ મહોત્સવ જેવા જાહેર કાર્યક્રમોમાં સુરક્ષા વ્યવસ્થાની ગંભીરતા પર ફરી એકવાર સવાલ ઉઠાવે છે. આયોજકો દ્વારા પૂરતી સુરક્ષા અને વ્યવસ્થા જાળવવી અત્યંત જરૂરી છે, જેથી આવા પ્રસંગોએ ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન બને.
