સુરત: ન્યાયના મંદિરમાં કાયદાના રક્ષક ગણાતા વકીલે જ માનવતા અને પવિત્ર વ્યવસાયને કલંકિત કરતી અત્યંત શરમજનક અને હૃદય કંપાવી દે તેવી ઘટનાને અંજામ આપ્યો છે. સુરતમાં એક બળાત્કાર પીડિતા સગીરાને ન્યાય અપાવવા માટે રાખવામાં આવેલા તેના પોતાના જ વકીલે સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાની સનસનાટીપૂર્ણ વિગતો બહાર આવી છે. હવસખોર વકીલે સગીરા પર બળાત્કાર ગુજારવાની સાથે-સાથે તેનો વીડિયો પણ ઉતાર્યો હતો. આ ચકચારી મામલે સચિન જીઆઈડીસી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને નરાધમ એડવોકેટની ધરપકડ કરી લીધી છે.
જૂના કેસમાં નુકસાન પહોંચાડવાની ધમકી આપી સગીરાને ઘરે લઈ ગયો
પોલીસ અને કેસની પ્રાથમિક વિગતો અનુસાર, સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત વર્ષે એક ૧૨ વર્ષ અને ૮ માસની સગીર વયની દીકરીને બે નરાધમ આરોપીઓ ભગાડી ગયા હતા અને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસમાં પોલીસે સક્રિય તપાસ કરીને આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી દીધી હતી. આ કાનૂની પ્રક્રિયામાં પીડિત અને ભોગ બનનાર ગરીબ પરિવાર તરફથી કેસ લડવા માટે સરકારી અને કાનૂની મદદ તરીકે વકીલ પ્રણયરાજ ગોવિંદભાઈ રણવીરની નિમણૂક કરવામાં આવી હતી.
જો કે, પીડિતાને ન્યાય અપાવવાના બદલે આ નરાધમ વકીલ પ્રણયરાજ રણવીરની દાનત બગડી હતી. ગત ૧૨ તારીખે આ વકીલે સગીરાના પરિવાર (ફરિયાદી) ને ફોન કરીને જણાવ્યું હતું કે તે સગીરાને પોતાના ઘરે કામ માટે નોકરીએ રાખવા માંગે છે. પરિવારે ના પાડતા વકીલે ધમકી આપી હતી કે, “જો દીકરીને કામ પર નહીં મોકલો તો હું તમારો જૂનો બળાત્કારનો કેસ બગાડી નાખીશ અને તમને કેસમાં મોટું નુકસાન પહોંચાડીશ.” જૂનો કેસ હારી જવાની બીકે અને વકીલ પર વિશ્વાસ રાખીને પરિવારે સગીરાને મોકલી હતી. વકીલ સગીરાને પોતાની ગાડીમાં બેસાડીને તેના ઘરે (મકાન નંબર ૪૨, વેદાંત વિલા, ઉમિયા ચોક, ડિંડોલી) લઈ ગયો હતો. જ્યાં ઘરમાં કોઈ ન હોવાનો લાભ લઈને નરાધમ વકીલે ૧૩ વર્ષની સગીરા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું અને આ કૃત્યનો પોતાના જ મોબાઈલમાં વીડિયો પણ ઉતારી લીધો હતો.
પોલીસે કલાકોમાં નરાધમ વકીલની ધરપકડ કરી, કડક કાર્યવાહી શરૂ
પીડિત સગીરાએ ઘરે પરત ફરીને રડતા-રડતા પોતાની સાથે થયેલી આપવીતી પરિવારને જણાવી હતી. જેથી ભયભીત બનેલા પરિવારે તુરંત જ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી નરાધમ વકીલ વિરૂદ્ધ બળાત્કાર અને પોક્સો (POCSO Act) હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ કમિશનરની સૂચના હેઠળ મામલાની ગંભીરતા અને સંવેદનશીલતાને જોઈને સચિન જીઆઈડીસી પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવીને દરોડો પાડ્યો હતો અને ગણતરીના કલાકોમાં જ આરોપી એડવોકેટ પ્રણયરાજ રણવીરને દબોચી લીધો હતો. પોલીસે આરોપી વકીલનો ગુનામાં વપરાયેલો મોબાઈલ ફોન, તેની લક્ઝરી કાર અને અન્ય મહત્વના ટેકનિકલ પુરાવાઓ ઘટનાસ્થળેથી જ જપ્ત કર્યા છે.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ ગુનામાં હાલ પૂરતો આ એક જ વકીલ સામેલ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આરોપી સામે સખત કલમો હેઠળ ગુનો નોંધી તેને કોર્ટમાં રજૂ કરી કડકમાં કડક સજા થાય તે દિશામાં ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.
