આણંદ/પેટલાદ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લાના નાયબ બાગાયત નિયામકની કચેરી હેઠળ કાર્યરત ‘સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર બનાના એન્ડ વેજીટેબલ’, ઈસરામા ખાતે એક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પેટલાદ તાલુકાની બહેનો માટે આયોજિત આ કાર્યક્રમમાં ‘અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ’ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોમાં રહેતી મહિલાઓને ઘરઆંગણે ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો.
આધુનિક અને પ્રાકૃતિક ખેતીનો સમન્વય
તાલીમ દરમિયાન નિષ્ણાતો દ્વારા બહેનોને વિવિધ આધુનિક પદ્ધતિઓનું જીવંત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં કિચન અને ટેરેસ ગાર્ડન, ઘરની અગાસી કે આંગણામાં શાકભાજી કેવી રીતે ઉગાડવા તે શિખવવામાં આવ્યું હતું. આ સાથે જમીન વગર માત્ર પાણીની મદદથી પોષક તત્વો દ્વારા ખેતી કરવાની નવીન ટેકનોલોજી અને શાકભાજીના ગુણવત્તાયુક્ત ધરુ (Nursery) કેવી રીતે તૈયાર કરવા તેની તાલીમ આપવામાં આવી હતી. વધુમાં, પ્રાકૃતિક કૃષિ પર ભાર મૂકતા બહેનોને રાસાયણિક ખાતર મુક્ત ખેતી માટે જીવામૃત, ઘનજીવામૃત, નીમાસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર બનાવવાની પ્રાયોગિક પદ્ધતિઓ સમજાવવામાં આવી હતી.
સ્વસ્થ આહાર – નિરોગી જીવન
આ પ્રસંગે બાગાયત અધિકારી કે.આર. ઠાકોરએ મહત્વની માહિતી આપતા જણાવ્યું હતું કે, “મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની ભલામણ અનુસાર, એક પુખ્ત વ્યક્તિએ દરરોજ ૧૭૫ ગ્રામ ફળ અને ૩૦૦ ગ્રામ શાકભાજી આહારમાં લેવા જોઈએ.” તેમણે બહેનોને અનુરોધ કર્યો હતો કે પરિવારના સ્વાસ્થ્ય માટે વધુમાં વધુ પ્રાકૃતિક અને ઝેરમુક્ત શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ.
રોપા અને ધરુનું વિતરણ
કાર્યક્રમના અંતે તાલીમમાં સહભાગી થયેલી મહિલાઓને પ્રોત્સાહન રૂપે શાકભાજીના ધરુ અને રોપાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાગાયત નિરીક્ષક ડી.સી. સુવાગીયા, બાગાયત મદદનીશ આઈ.એમ. ઠાકોર અને અન્ય સ્ટાફના સહયોગથી મોટી સંખ્યામાં ખેડૂત મહિલાઓએ આધુનિક બાગાયતની ગૂંચ ઉકેલી હતી.
