આણંદ: આણંદ-કરમસદ મહાનગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિક અને પાર્કિંગની વધતી સમસ્યાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના કમિશનરની સૂચના મુજબ, એસ્ટેટ વિભાગ દ્વારા આજે વિદ્યાનગર અને આણંદના મુખ્ય માર્ગો પરથી ગેરકાયદે દબાણો દૂર કરવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ટાઉનહોલ વિસ્તારમાં મોટી કાર્યવાહી
મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે ખાસ કરીને આણંદ ટાઉનહોલ પાસેના જાહેર માર્ગ ઉપર લાંબા સમયથી જામી ગયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. રસ્તાની બંને બાજુએ ઉભા રહેતા લારી-ગલ્લા અને પાથરણાવાળાઓને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. પાલિકાના કાફલાએ સ્થળ પર પહોંચી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.
વેપારીઓ અને લારીધારકોને કડક સૂચના
મહાનગરપાલિકાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર દ્વારા આ કાર્યવાહી દરમિયાન વેપારીઓને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, જાહેર માર્ગ ઉપર લોકોને અડચણરૂપ થાય તે રીતે કોઈપણ ચીજવસ્તુ મૂકવી નહીં. તેમજ ફૂટપાથ કે રસ્તાના માર્જિનમાં લારી-ગલ્લા ઉભા રાખવા નહીં. અને જો ભવિષ્યમાં ફરીથી આ પ્રકારે દબાણ કરવામાં આવશે, તો મનપાની ટીમ દ્વારા સામાન જપ્ત કરી કાયદેસરની કડક કાર્યવાહી અને ભારે દંડ વસૂલવામાં આવશે.
નાગરિકોએ કામગીરીને વધાવી
શહેરના મુખ્ય માર્ગો પરથી દબાણો દૂર થતા ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે તેવી આશા નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે. મહાનગરપાલિકાના આ એક્શન મોડને કારણે અન્ય વિસ્તારોના દબાણકર્તાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં આ ઝુંબેશ શહેરના અન્ય વિસ્તારોમાં પણ ચાલુ રહે તેવી શક્યતા છે.
