આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મનપા કમિશનરના માર્ગદર્શન હેઠળ સેનિટેશન વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. કમિશનર દ્વારા જાહેરમાં ગંદકી ફેલાવતા અને પર્યાવરણને નુકસાન કરતા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા એકમો સામે કડક દંડનાત્મક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
ફેબ્રુઆરી માસનો રિપોર્ટ: રૂ.1.83 લાખનો દંડ
સેનિટેશન વિભાગ દ્વારા ફેબ્રુઆરી માસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં આકસ્મિક તપાસણી (Surprise Inspection) હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન કુલ 181 એકમો નિયમોનું ઉલ્લંઘન કરતા ઝડપાયા હતા, જેમની પાસેથી કુલ ₹1,83,300 નો દંડ વસૂલવામાં આવ્યો છે.
તપાસણીની મળતી વિગતો મુજબ જાહેરમાં ગંદકી ફેલાવતા 157 એકમો સામે કાર્યવાહી કરીને રૂ. 75,800 નો દંડ વસૂલાવામાં આવ્યો છે. જ્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા 24 એકમો પાસેથી રૂ. 1,07,500 નો મોટો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
વેપારીઓ અને એકમોને તાકીદ
મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા વિવિધ વ્યાપારી એકમોને ખાસ તાકીદ કરવામાં આવી છે કે તેઓ મનપા વિસ્તારને સ્વચ્છ રાખવામાં પોતાનું યોગદાન આપે. જાહેરમાં કચરો ન ફેંકવા અને પર્યાવરણના હિતમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે. જો આગામી સમયમાં પણ નિયમોનું ઉલ્લંઘન જણાશે તો આ કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.
