ગાંધીનગર: ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. રાજ્યના અનેક ભાગોમાં કાળા ડીબાંગ વાદળોના ઘેરાવા સાથે વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 24 કલાકમાં રાજ્યમાં તોફાની કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
વડોદરા અને અમદાવાદમાં અમી છાંટાથી ઠંડક
વડોદરામાં સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેરના કારેલીબાગ, રાવપુરા સહિતના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડ્યા બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ વરસાદ પડતા નગરજનોએ ઠંડક અનુભવી હતી, જોકે બજારોમાં વેપારીઓએ પોતાનો સામાન ઢાંકવા માટે દોડધામ કરવી પડી હતી. અમદાવાદમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ગમે ત્યારે મેઘરાજા મચાવશે ધમાલ તેવી સ્થિતિ સર્જાઈ છે.
અંબાલાલ પટેલની ‘કરા’ સાથેની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઉત્તર ભારત તરફથી વાદળોનો સમૂહ ગુજરાત તરફ આવી રહ્યો છે. 7મી એપ્રિલના બપોર બાદ પ્રી-મોન્સૂન એક્ટિવિટી તેજ બનશે.
- પવનની ગતિ: કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
- વરસાદનું પ્રમાણ: મધ્ય ગુજરાતમાં 10 mm થી લઈને અડધો ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા છે.
- ચેતવણી: કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે કરા પણ પડી શકે છે. અંબાલાલ પટેલે ખાસ કરીને ડુંગળી પકવતા ખેડૂત ભાઈઓને સાવચેત રહેવા અપીલ કરી છે.
માછીમારોને ચેતવણી અને યલો એલર્ટ
હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, રાજકોટ અને કચ્છ સહિતના જિલ્લાઓમાં વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે. ખરાબ હવામાન અને દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતાને જોતા માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા કડક તાકીદ કરવામાં આવી છે. રાજ્યના માર્ગો પર ધીમીધારે વરસાદને કારણે વાહનચાલકો અટવાયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં ખાબોચિયાં ભરાયાં હોવાના અહેવાલ પણ પ્રાપ્ત થયા છે.
