વલ્લભ વિદ્યાનગર: સંસ્કાર, શિક્ષણ અને સ્વવિકાસના ત્રિવેણી સંગમ સમાન BAPS સ્વામિનારાયણ છાત્રાલય, વિદ્યાનગર ખાતે નૂતન મંદિરનો ૧૧મો પાટોત્સવ અત્યંત ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. છેલ્લા ૬૧ વર્ષથી હજારો વિદ્યાર્થીઓના જીવનમાં સંસ્કાર સિંચન કરતા આ છાત્રાલયમાં વર્ષ ૨૦૧૬માં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના હસ્તે મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. આ પાટોત્સવમાં સંતો અને હરિભક્તોની વિશાળ હાજરીથી સમગ્ર સંકુલ ભક્તિમય બની ગયું હતું.
મહાપૂજા અને ૧૦૮ વાનગીઓનો અન્નકૂટ
પાટોત્સવની ઉજવણીનો પ્રારંભ શાસ્ત્રોક્ત ન્યાસ વિધિથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મુખ્ય મહાપૂજા યોજાઈ હતી, જેમાં ૫૦૦થી વધુ યજમાન હરિભક્તોએ ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો. આ અવસરે ઠાકોરજી સમક્ષ સંતો અને યુવકો દ્વારા ૧૦૮ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. હરિભક્તોએ ભગવાનને નૂતન વસ્ત્રો, અલંકારો અને રજોપચાર અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.
સંતોના આશીર્વચન: ચારિત્ર્યવાન સમાજનું નિર્માણ
મહાપૂજા બાદ આયોજિત મુખ્ય સભામાં વડીલ સંતો પૂજ્ય સાધુજીવન સ્વામી, પૂજ્ય ભગવતચરણ સ્વામી, પૂજ્ય વેદજ્ઞ સ્વામી અને પૂજ્ય સર્વમંગલ સ્વામીએ પ્રેરક ઉદબોધન આપ્યા હતા. સંતોએ જણાવ્યું હતું કે, “પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આ છાત્રાલયમાંથી માત્ર સ્નાતકો જ નહીં, પરંતુ ચારિત્ર્યવાન યુવકો સમાજને મળી રહ્યા છે.” આ છાત્રાલયમાં મંદિરની તમામ સેવાઓ વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવે છે, જે તેમનામાં સેવાભવના અને ભક્તિનું સિંચન કરે છે.
હરિભક્તોની વિશાળ ઉપસ્થિતિ
ચરોતર વિસ્તારના વિવિધ મંદિરોના ૫૦થી વધુ સંતો અને ૩૦૦૦થી વધુ હરિભક્તોએ આ પાટોત્સવનો લાભ લીધો હતો. કાર્યક્રમના અંતે તમામ ભાવિકોએ સમૂહમાં મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ સમગ્ર ઉત્સવને સફળ બનાવવા માટે પૂજ્ય અદ્ભુતાનંદ સ્વામી અને છાત્રાલયના સ્વયંસેવક યુવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.
