આણંદ: આણંદ જિલ્લામાં આગામી તારીખ ૨૭ ઓગસ્ટથી ગણપતિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આ ભવ્ય ઉત્સવની તૈયારીઓ અને તેના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ કલેક્ટર કચેરી આણંદ ખાતે પત્રકાર પરિષદ યોજીને મહત્વની માહિતી આપી હતી. તેમણે જિલ્લાના તમામ આયોજકોને આ વર્ષે ગણપતિ મહોત્સવ ઈકો-ફ્રેન્ડલી રીતે ઉજવવા માટે ખાસ અપીલ કરી છે.
કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું કે પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા દાખવીને ઈકો-ફ્રેન્ડલી રીતે ઉત્સવ ઉજવી શકાય છે. આ ઉપરાંત, તેમણે આ વર્ષે ગણપતિ મહોત્સવને ‘રાષ્ટ્ર ભક્તિનો ઉત્સવ’ તરીકે ઉજવવા માટે પણ અનુરોધ કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે મહોત્સવ માટે ત્રણ મુખ્ય થીમ નક્કી કરવામાં આવી છે: ‘ઓપરેશન સિંદૂર’, ‘સ્વદેશી અપનાવો’, અને ‘દેશભક્તિ’. કલેકટરે આયોજકોને આ ત્રણ થીમ પર ગણપતિ પંડાલનું આયોજન કરવા પર ભાર મૂક્યો હતો.
આ ત્રણ થીમ પર આયોજન કરનારા પંડાલોની રાજ્ય સરકાર દ્વારા રચાયેલી પસંદગી સમિતિ દ્વારા તપાસ કરવામાં આવશે. આ સમિતિ દ્વારા જે પંડાલ શ્રેષ્ઠ આયોજન કરશે અને પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના ઈકો-ફ્રેન્ડલી રીતે ઉત્સવ ઉજવશે, તેવા આયોજકોને પ્રોત્સાહક ઈનામો આપવામાં આવશે. પ્રથમ ક્રમે આવનાર પંડાલને રૂપિયા પાંચ લાખ ઈનામ, બીજા નંબરના પંડાલને રૂપિયા ત્રણ લાખ અને ત્રીજા નંબરના પંડાલને રૂપિયા બે લાખનું રોકડ ઇનામ મળશે. આ ઉપરાંત, અન્ય પાંચ પ્રોત્સાહક ઇનામરૂપે પંડાલને રૂપિયા એક-એક લાખના ઇનામ આપવામાં આવનાર છે.
કલેકટરે વધુમાં ઉમેર્યું કે આણંદ જિલ્લામાં જે મંડળો દ્વારા ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે, તેવા મંડળ દ્વારા આ ત્રણ થીમ પર ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે, જેથી આણંદ જિલ્લો રાજ્યમાં ઉત્કૃષ્ટ ગણપતિ મહોત્સવનું ઉદાહરણ પૂરું પાડી શકે.
