ગુજરાતનું ગૌરવ ગણાતા સિંહો માટે હવે ગીર બાદ બીજું મોટું અને સુરક્ષિત નિવાસસ્થાન તૈયાર થઈ રહ્યું છે. પોરબંદરના બરડા વન્યજીવ અભયારણ્યમાં સિંહોની વધતી હાજરી અને કુદરતી રીતે જ તેમના સંવર્ધનથી વન્યજીવ પ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ છે. આ અંગે રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ ટ્વીટ કરીને માહિતી આપી છે અને બરડા અભયારણ્યમાં એક સિંહ પરિવારની સુંદર તસવીર પણ શેર કરી છે.
નથવાણીએ ટ્વીટમાં જણાવ્યું કે, “આ સુંદર તસવીર પોરબંદરના બરડા વન્યજીવ અભયારણ્યમાં ગુજરાતના ગૌરવ એવા એક સિંહ પરિવારની હાજરી દર્શાવે છે. ક્યારેક શિકારક્ષેત્ર રહેલું આ સ્થળ હવે સિંહોના સંવર્ધનનું કેન્દ્ર બન્યું છે.”
એક સમયે શિકારક્ષેત્ર તરીકે ઓળખાતું બરડા અભયારણ્ય હવે સિંહો માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની ગયું છે. પ્રાપ્ત માહિતી મુજબ, કુદરતી રીતે જ એક નર સિંહના આગમન બાદ પાંચ માદા સિંહો પણ આ વિસ્તારમાં સ્થળાંતરિત થઈ હતી. આ પ્રક્રિયા બાદ આજે બરડા અભયારણ્ય કુલ ૧૭ સિંહોનું ઘર બન્યું છે, જે વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાત માટે એક મોટી સફળતા ગણી શકાય છે.
ગીર બાદ હવે બરડા અભયારણ્ય બની રહ્યું છે ગુજરાતનું ગૌરવ…
આ સુંદર તસવીર પોરબંદરના બરડા વન્યજીવ અભયારણ્યમાં ગુજરાતના ગૌરવ એવા એક સિંહ પરિવારની હાજરી દર્શાવે છે. ક્યારેક શિકારક્ષેત્ર રહેલું આ સ્થળ હવે સિંહોના સંવર્ધનનું કેન્દ્ર બન્યું છે.
કુદરતી રીતે જ એક નર સિંહના આગમન અને… pic.twitter.com/jaRtguQKC2— Parimal Nathwani (@mpparimal) September 21, 2025
બરડા અભયારણ્યમાં સિંહોની વધતી સંખ્યા એ વાતનો જીવંત પુરાવો છે કે ગુજરાત સરકાર અને વન વિભાગના સંરક્ષણ પ્રયાસો સાચી દિશામાં છે. ગીરમાં સિંહોની વસ્તી સતત વધી રહી છે, અને તેમને બીજા સુરક્ષિત સ્થળે સ્થાનાંતરિત કરવાની જરૂરિયાત લાંબા સમયથી અનુભવાઈ રહી છે. બરડા અભયારણ્ય આ જરૂરિયાતને પૂરી કરી શકે છે.
આ તસવીર અને માહિતી એ પણ દર્શાવે છે કે, વન્યજીવોના સંરક્ષણ માટે સામુદાયિક અને સરકારી પ્રયાસો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આવા પ્રયાસો ચાલુ રહેશે, તો ગીરની જેમ જ બરડા અભયારણ્ય પણ ભવિષ્યમાં સિંહોના સંવર્ધનનું એક મુખ્ય કેન્દ્ર બનીને ભારત અને વિશ્વમાં ગુજરાતનું ગૌરવ વધારશે.
