અમદાવાદ: અરબી સમુદ્રમાં સર્જાયેલું ગંભીર ચક્રવાતી વાવાઝોડું ‘શક્તિ’ હાલમાં ઓમાન તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ તે ૬ ઓક્ટોબર બાદ યુ-ટર્ન લઈને ગુજરાત તરફ પાછું વળશે. જોકે, આ દરમિયાન તેની તીવ્રતા ઘણી ઓછી થઈ જવાની સંભાવના હોવાથી ગુજરાત પર તેની કોઈ ગંભીર અસર થવાની શક્યતા નથી.
આજે (તારીખ ૫ ઓક્ટોબર) સવારે ૦૮:૩૦ કલાકે, ‘શક્તિ’ વાવાઝોડું ઓમાનના રાસ અલ હદથી લગભગ ૨૨૦ કિ.મી. દક્ષિણપૂર્વમાં કેન્દ્રિત હતું. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર દ્વારકાથી તે ૮૨૦ કિ.મી. પશ્ચિમમાં છે. આ વાવાઝોડું હાલમાં ૧૮ કિમી/કલાકની ઝડપે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે.
ચક્રવાતની ગતિ અને ગુજરાત પર અસર:
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાત ૬ ઓક્ટોબરની સવાર સુધી આ જ દિશામાં જઈને ધીમે ધીમે નબળું પડશે. ૬ ઓક્ટોબર પછી તે યુ-ટર્ન (Recurves) લઈને પૂર્વ તરફ, એટલે કે ગુજરાત તરફ આગળ વધશે. જોકે, તે ગુજરાત તરફ આગળ વધે તે પહેલા જ તેની તીવ્રતા ઓછી થઈ જશે, જેના કારણે રાજ્યને મોટા નુકસાનની શક્યતા ઓછી છે.
નબળું પડતું હોવા છતાં, ૬ અને ૭ ઓક્ટોબરના રોજ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની આડઅસર જોવા મળી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવા વરસાદ અને પવન ફૂંકાવાની સંભાવના છે.
તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા છે. સાવચેતીના ભાગરૂપે, માછીમારોને ૬ ઓક્ટોબર સુધી દરિયો ન ખેડવા માટે સખત સૂચના આપવામાં આવી છે.
