નવી દિલ્હી: દિલ્હી-NCRમાં સતત વકરી રહેલા પ્રદૂષણ અને ટ્રાફિક જામની સમસ્યાને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય પ્રદૂષણ વોચડોગ, ‘કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ’ (CAQM) ને આકરા શબ્દોમાં ફટકાર લગાવી છે. મંગળવારે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) સૂર્યકાન્ત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચે અવલોકન કર્યું હતું કે CAQM તેની ફરજો બજાવવામાં નિષ્ફળ રહ્યું છે.
મુદ્દતની માંગણીને કોર્ટે ફગાવી
દિલ્હીની સરહદો પર ટ્રાફિકની ગીચતા ઘટાડવા માટે ટોલ પ્લાઝાને કામચલાઉ ધોરણે બંધ કરવા અથવા તેને અન્યત્ર ખસેડવા અંગે CAQM દ્વારા બે મહિનાની મુદ્દત માંગવામાં આવી હતી. આના પર નારાજગી વ્યક્ત કરતા બેન્ચે કહ્યું કે, “૨ જાન્યુઆરીએ મીટિંગ યોજીને તમે અમને એવું કહો કે અમે બે મહિના પછી આવીશું, તે અમને સ્વીકાર્ય નથી. શું તમે પ્રદૂષણના મુખ્ય કારણો ઓળખવામાં સક્ષમ છો?”
ભારે વાહનો અને પ્રદૂષણના સ્ત્રોતો પર ધ્યાન આપવા આદેશ
કોર્ટે નોંધ્યું હતું કે પ્રદૂષણમાં ભારે વાહનોનો ફાળો ઘણો મોટો છે. એક્સપર્ટ્સ અને જનતા દ્વારા વિવિધ માધ્યમોથી પ્રદૂષણ ઘટાડવાના સૂચનો મળી રહ્યા છે ત્યારે તંત્ર કેમ નિષ્ક્રિય છે? સુપ્રીમ કોર્ટે CAQM ને નીચે મુજબના આદેશો આપ્યા છે:
નિષ્ણાતોની બેઠક: આગામી બે સપ્તાહમાં નિષ્ણાતોની બેઠક બોલાવવી.
રિપોર્ટ સબમિટ કરવો: પ્રદૂષણ વધવાના મુખ્ય કારણો અને તેના ઉકેલ અંગેનો રિપોર્ટ રજૂ કરવો.
લાંબા ગાળાના ઉકેલ: તબક્કાવાર રીતે લાંબા ગાળાના સોલ્યુશન્સ પર કામ શરૂ કરવું.
ટોલ પ્લાઝા મુદ્દે સ્વતંત્ર નિર્ણય: વિવિધ હિતધારકો (Stakeholders) ના પ્રભાવમાં આવ્યા વગર ટોલ પ્લાઝાના સ્થળાંતર અંગે વિચારણા કરવી.
સુપ્રીમ કોર્ટની આ કડક ટિપ્પણી બાદ હવે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સંબંધિત વિભાગોમાં દોડધામ મચી ગઈ છે. પ્રદૂષણની ગંભીર સ્થિતિને જોતા કોર્ટે હવે સીધા દેખરેખ હેઠળ આ પ્રક્રિયા ઝડપી બનાવવાના સંકેત આપ્યા છે.
