સુરત: સંવેદનશીલ માણસના જીવનમાં બનેલી કોઈ એક આઘાતજનક ઘટના ક્યારેક આખા સમાજ માટે પથદર્શક બની જતી હોય છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામના ખેડૂત કલ્પેશ પટેલના જીવનમાં પણ કંઈક આવું જ બન્યું છે. કલ્પેશભાઈ સુરતની એક ફેક્ટરીમાં કેમિકલ ઓપરેટર તરીકે નોકરી કરતા હતા. તેમના પિતા રમણભાઈ પટેલ રાસાયણિક ખેતી કરતા અને ખેતરમાં પુષ્કળ ઝેરી જંતુનાશક દવાઓ છાંટતા હતા. પિતાને જ્યારે કેન્સરનું નિદાન થયું અને તેમનું અવસાન થયું, ત્યારે કલ્પેશ પટેલના જીવનમાં મોટો વળાંક આવ્યો. તેમણે પિતાની ચિતા સામે જ મનોમન ગાંઠ વાળી લીધી કે હવેથી તેઓ ધરતી માતાને અને સામાન્ય નાગરિકોને રાસાયણિક ખાતરના ઝેરમાંથી મુક્ત કરશે.
વર્ષ ૨૦૧૯થી ઝેરી જંતુનાશકોને આપી તિલાંજલિ, અપનાવ્યું ‘જંગલ મોડેલ’
પ્રકૃતિપ્રેમી કલ્પેશ પટેલે વર્ષ ૨૦૧૯થી નોકરીની સાથે પોતાની વારસાગત ૮ વીઘા જમીનમાંથી સાડા ત્રણ વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી (Natural Farming) ની શરૂઆત કરી. ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગમાંથી વિશેષ ટ્રેનિંગ લઈને તેમણે ગાયના ગોબર-ગૌમૂત્રમાંથી ‘જીવામૃત’ બનાવવાનું શરૂ કર્યું. આજે તેઓ સંપૂર્ણપણે ‘મારો માલ અને મારો ભાવ’ ના આત્મનિર્ભર સિદ્ધાંત પર ખેતી કરે છે. પ્રાકૃતિક પદ્ધતિ અને જંગલ મોડેલ અપનાવવાથી તેમનો દર વીઘે રૂ. ૧૫ થી ૨૦ હજારનો મોંઘા ખાતરો અને પેસ્ટીસાઇડ્સનો ખર્ચ સાવ બંધ થઈ ગયો છે, જ્યારે જમીનની ફળદ્રુપતા અકલ્પનીય રીતે વધી ગઈ છે.

એક જ લૂમમાં ૭૩ કિલો કેળાનો રાષ્ટ્રીય રેકોર્ડ!
કલ્પેશ પટેલ આજે સાડા ત્રણ વીઘા જમીનમાં કેળની ૫૦થી વધુ દુર્લભ અને પ્રીમિયમ જાતોનું સફળ વાવેતર કરે છે. જેમાં મુખ્યત્વે પુવન, આધાપુરી, રસથલી, લાલ કેળ, બ્લુ જાવા, બસરાઈ, મહાલક્ષ્મી અને એલચી કેળાનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે રાસાયણિક ખેતીમાં કેળની એક લૂમનું વજન ૨૦ થી ૩૦ કિલો માંડ થાય છે, પરંતુ કલ્પેશભાઈના ઓર્ગેનિક ખેતરમાં વર્ષ ૨૦૨૫ માં એક જ કેળની લૂમનું વજન ૭૩ કિલો નોંધાયું હતું, જે એક કૃષિ રેકોર્ડ છે! આજે તેઓ આ સાડા ત્રણ વીઘા જમીનમાંથી દર વર્ષે રૂ. ૧૦ થી ૧૨ લાખની ચોખ્ખી આવક મેળવી રહ્યા છે.
વેલ્યૂ એડિશન અને સોશિયલ મીડિયા પર કેન્દ્રીય મંત્રી દ્વારા સરાહના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રાકૃતિક ખેતીની હાકલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન હેઠળ કલ્પેશભાઈ આજે ડિજિટલ માર્કેટિંગના યુગમાં આગળ વધ્યા છે. જો ક્યારેક કાચા કેળા ન વેચાય, તો તેઓ ફેંકી દેવાને બદલે તેનું ‘વેલ્યૂ એડિશન’ (Value Addition) કરીને તેમાંથી ઓર્ગેનિક કેળાની વેફર અને બનાના પાવડર બનાવે છે. સુરતના વેસુ ખાતે આવેલા સરકારી ‘પ્રાકૃતિક કૃષિ બજાર’ માં તેમના ઉત્પાદનો હાથોહાથ વેચાય છે.
કલ્પેશભાઈની આ સફળતાની સુવાસ છેક દિલ્હી સુધી પહોંચી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કલ્પેશ પટેલ સાથે સ્પેશિયલ વાર્તાલાપ કર્યો હતો અને તેમની સક્સેસ સ્ટોરી પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરીને દેશના તમામ ખેડૂતોને આ મોડેલ અપનાવવા પ્રેરણા આપી હતી. આજે બીજા રાજ્યોમાંથી પણ લોકો ઓનલાઇન ઓર્ડર આપીને કલ્પેશભાઈ પાસેથી ઓર્ગેનિક કેળા કુરિયર અને પાર્સલ દ્વારા મંગાવી રહ્યા છે.
