શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઉઠાવતી અનેક દુઃખદ ઘટના ગીર સોમનાથના કોડીનારમાં બની છે. કોડીનાર તાલુકાના છારા કન્યા શાળાના શિક્ષક અને BLO (બૂથ લેવલ ઓફિસર) તરીકે ફરજ બજાવતા અરવિંદભાઈ વાઢેર નામના શિક્ષકે ‘સિસ્ટમ’ના અસહ્ય કામના બોજથી કંટાળીને પોતાના દેદાની દેવળી ગામના ઘરે આત્મહત્યા કરી લીધી છે.
શિક્ષણ સિવાયની કામગીરીમાં શિક્ષકોને જોતરી દેતી ‘ઉપલી કચેરી’ના કામના દબાણે વધુ એક હસતા-રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. આ ઘટનાથી સમગ્ર શિક્ષણ જગત અને પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
સુસાઇડ નોટમાં વ્યક્ત કર્યું દુઃખ
આત્મહત્યા કરતા પૂર્વે અરવિંદભાઈ વાઢેરે પોતાની પત્ની સંગીતાને સંબોધીને એક હૃદયદ્રાવક સુસાઇડ નોટ લખી છે. આ નોટમાં તેમણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે તેઓ SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) ની કામગીરીના સતત થાક અને માનસિક તણાવથી એટલી હદે કંટાળી ગયા હતા કે હવે તેમની પાસે બીજો કોઈ રસ્તો બચ્યો નહોતો. નોટમાં તેમણે લખ્યું છે કે,
“મારાથી કોઈ પણ કાળે હવે આ SIR નું કામ થઇ શકે એમ નથી અને હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું. પણ હવે હું ખુબજ મજબૂર બની ગયો છું અને મારી પાસે આ અંતિમ પગલું ભરવા સિવાય કોઈ રસ્તો નથી.”
આ પત્ર સ્પષ્ટપણે સૂચવે છે કે વિદ્યાર્થીઓને ભણાવવાની મૂળભૂત ફરજને બદલે, BLO અને SIR જેવી ચૂંટણી સંબંધિત વધારાની કામગીરીના બોજાએ તેમને માનસિક રીતે તોડી પાડ્યા હતા.
ક્યાં સુધી શિક્ષકો પીસાશે?
દેદાની દેવળી ગામના વતની અરવિંદભાઈ છારા કન્યા શાળામાં સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. આ ઘટના શિક્ષણ વ્યવસ્થાના ગાલ પર એક તમાચા સમાન છે. શિક્ષકોને શિક્ષણ સિવાયના સરકારી કામો, સર્વે અને બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં જોતરી દેવાના કારણે તેમની માનસિકતા અને મૂળ ફરજ પર ગંભીર અસર પડે છે.
આ દુઃખદ પગલાં બાદ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. હવે સવાલ એ છે કે ‘સિસ્ટમ’ દ્વારા કરવામાં આવતા આ પ્રકારના દબાણ અને માનસિક તણાવથી અન્ય શિક્ષકોને ક્યાં સુધી પીસવામાં આવશે? આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં શિક્ષકોને અપાતા બિન-શૈક્ષણિક કામો પર પુનર્વિચારણા કરવાની તાત્કાલિક જરૂરિયાત ઊભી કરી છે.
