વડતાલ: ખેડાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણને ભોપાલની LNCT વિશ્વવિદ્યાલય દ્વારા માનદ ડોક્ટરેટની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. આ ગૌરવશાળી સિદ્ધિ બદલ આજે પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ મુકામે વડતાલ સંસ્થા દ્વારા તેમનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું. વડતાલધામ પહોંચીને દેવુસિંહ ચૌહાણે સૌ પ્રથમ મહાપ્રતાપી લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં શીશ ઝુકાવી પોતાની ડોક્ટરેટની ડિગ્રી ભગવાનને અર્પણ કરી હતી.
આચાર્ય અને સંતોના હસ્તે વિશિષ્ટ સન્માન
વડતાલ ગાદીના આચાર્ય પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ શ્રી રાકેશપ્રસાદજી મહારાજની ગરિમામય ઉપસ્થિતિમાં આ અભિવાદન સમારોહ યોજાયો હતો. વડતાલ મંદિરના મુખ્ય કોઠારી પૂજ્ય દેવપ્રકાશ સ્વામી, પૂજ્ય નૌતમ સ્વામી, અને પૂજ્ય શુકદેવ સ્વામીએ ટ્રસ્ટીઓ સાથે મળીને દેવુસિંહ ચૌહાણને હાર, ખેસ અને પાઘ પહેરાવીને વિશિષ્ટ સન્માન કર્યું હતું. આ પ્રસંગે વિવિધ જિલ્લાના બાળકો અને સંતોએ માણકી પર મહારાજની મોમેન્ટો આપી તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
‘આ સન્માન ખેડા જિલ્લાના નાગરિકોને અર્પણ છે’
સન્માનનો પ્રતિભાવ આપતા દેવુસિંહ ચૌહાણ ભાવુક બન્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “આ સન્માન હું મારા જિલ્લાના તમામ નાગરિકોને અર્પણ કરું છું. વડતાલ સંસ્થા દ્વારા જે બાળ ઘડતરનું વિરાટ કાર્ય થઈ રહ્યું છે તે પ્રશંસનીય છે. મને હંમેશા સંસ્થાની સેવા પ્રવૃત્તિઓમાં સહભાગી થવાનું સૌભાગ્ય મળતું રહે તેવા આશીર્વાદ આપજો.”
સહજાનંદી બાળ યુવા શિબિરનો પ્રારંભ
આ અભિવાદનનો અવસર વડતાલધામમાં આયોજિત ‘સહજાનંદી બાળ યુવા શિબિર’ના દશાબ્દી મહોત્સવના પ્રારંભ સાથે જોડાયેલો હતો. શિબિર સ્થળ પર પહોંચતા જ સમગ્ર ગુજરાતના દરેક જિલ્લામાંથી આવેલી કન્યાઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. દેવુસિંહજીએ આચાર્ય સાથે મળીને શિબિરનું દીપ પ્રાગટ્ય કરી મંગલ પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે પૂજ્ય ગોવિંદ સ્વામી, શ્રીવલ્લભ સ્વામી, હરિઓમ સ્વામી સહિત અનેક સંતો અને યુવકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
