આણંદ જિલ્લામાં આગામી રવિવાર, ૧૪ સપ્ટેમ્બર ના રોજ મહેસૂલી તલાટી (વર્ગ-૩) ની પ્રાથમિક પરીક્ષા યોજાશે. આ પરીક્ષા માટે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષ સ્થાને ડી.ઝેડ. પટેલ હાઇસ્કુલ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય પરીક્ષાનું શાંતિપૂર્ણ અને સુચારુ આયોજન સુનિશ્ચિત કરવાનો હતો.
આ બેઠકમાં કુલ ૫૪ પરીક્ષા કેન્દ્રોના નિયામકો, મંડળના પ્રતિનિધિઓ, તકેદારી સુપરવાઇઝરો અને ૧૯ ઝોનલ અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કલેક્ટર પ્રવીણ ચૌધરીએ પરીક્ષાની ગંભીરતા અને સંવેદનશીલતા પર ભાર મૂક્યો અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જરૂરી સૂચનો આપ્યા.
જિલ્લા પોલીસ અધિક્ષક જે.જે. જસાણીએ પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ઉમેદવારોને કોઈ તકલીફ ન પડે તે માટેની વિગતવાર માહિતી આપી હતી. ખાસ કરીને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સના ઉપયોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. નિવાસી અધિક કલેક્ટર આર.એસ. દેસાઈએ પરીક્ષા કેન્દ્રો પરની કામગીરીના આયોજન અંગે સૂચનો આપ્યા.
આણંદ જિલ્લામાં કુલ ૧૬,૯૮૭ ઉમેદવારો રેવન્યુ તલાટીની પરીક્ષા આપશે. આ પરીક્ષા માટે ૫૪ બિલ્ડીંગોમાં ૫૬૭ બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે. આ બેઠકમાં આણંદ અને બોરસદના પ્રાંત અધિકારીઓ, નાયબ પોલીસ અધિક્ષક પંચાલ, જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ. અર્ચનાબેન પ્રજાપતિ સહિત અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
