ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી બદલાયેલા હવામાન વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આજથી રાજ્યના હવામાનમાં ધીમે-ધીમે સુધારો આવતો જશે, જેનાથી ખેડૂતોને મોટી રાહત મળશે. જોકે, આ રાહત લાંબો સમય ટકી ન શકે તેવી પણ શક્યતા છે, કારણ કે આગામી દિવસોમાં કુદરતનો મિજાજ ફરી બદલાઈ શકે છે.
એપ્રિલ મહિનામાં કમોસમી વરસાદની શક્યતા
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, બંગાળના ઉપસાગરમાં ભેજને કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. એપ્રિલ મહિનાના પ્રારંભમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
- ૨૨ અને ૨૫-૨૮ માર્ચ: પશ્ચિમ વિક્ષેપો (Western Disturbances) આવવાની શક્યતા છે.
- ૧૦ થી ૨૦ એપ્રિલ: રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદની પ્રબળ શક્યતા છે.
- ૨૪ એપ્રિલ થી ૪ મે: ગુજરાતના વિવિધ ભાગોમાં ફરી વરસાદી માહોલ જામી શકે છે.
મે મહિનામાં ‘કાળી આંધી’ અને વાવાઝોડાનું સંકટ
ઉનાળાની પીક સિઝન દરમિયાન એટલે કે મે મહિનામાં હવામાન વધુ તોફાની બની શકે છે. અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે:
- ૧૧ થી ૨૦ મે: અરબ રાષ્ટ્રોમાંથી ‘કાળી આંધી’ આવવાની શક્યતા છે, જેની અસર ગુજરાતના વાતાવરણ પર પડશે.
- મે અને જૂનના પ્રારંભમાં: બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્ર સક્રિય થવાથી ખતરનાક વાવાઝોડું સર્જાઈ શકે છે.
- ૨૦ એપ્રિલથી જૂન: બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની પ્રક્રિયા શરૂ થશે, જે ચોમાસા પૂર્વેની મોટી કુદરતી ઘટના બની શકે છે.
ખેડૂતો માટે પવનની ચેતવણી
૧૪ એપ્રિલથી રાજ્યના અનેક ભાગોમાં જોરદાર પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. સતત આવતા પશ્ચિમ વિક્ષેપો અને સમુદ્રી હલચલને કારણે ઉનાળુ પાક લેતા ખેડૂતોએ સાવચેત રહેવું જરૂરી છે. ખાસ કરીને કેરી અને ઉનાળુ પાકોને વાવાઝોડા અને કમોસમી વરસાદથી નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
