ગાંધીનગર: ગુજરાતની પાટનગર ગાંધીનગર સ્થિત વિશ્વપ્રસિદ્ધ સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન (IITE) દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે એક બહુ જ મોટો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ (NEP-2020) ના વિઝનને સાકાર કરવા માટે IITE એ પોતાના શૈક્ષણિક માળખાનું વિસ્તરણ કરીને નવી ૭ અદ્યતન યુનિવર્સિટી સ્કૂલ્સની સ્થાપના કરી છે. વર્ષ ૨૦૧૦ માં સ્થાપના પામેલી આ પ્રતિષ્ઠિત સંસ્થા હવે “યુનિવર્સિટી ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ” (રાષ્ટ્રીય મહત્વની યુનિવર્સિટી) અને મલ્ટિડિસિપ્લિનરી (બહુવિદ્યાશાખાકીય) એકેડેમિક મોડલ તરફ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે.
AI ના એડ્યુકેટર્સ તૈયાર કરતી ભારતની પ્રથમ યુનિવર્સિટી: ડૉ. મેહુલ દવે
આ ઐતિહાસિક વિસ્તરણ અંગે વિગતો આપતા IITE ના ડિરેક્ટર ડૉ. મેહુલ દવેએ ગર્વભેર જણાવ્યું હતું કે, “આજના આધુનિક યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના એડ્યુકેટર્સ અને સ્પેશિયલ શિક્ષકો તૈયાર કરતી IITE સમગ્ર ભારતની સર્વપ્રથમ યુનિવર્સિટી બનશે.” IITE ને વૈશ્વિક કક્ષાની બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નવા અત્યાધુનિક બિલ્ડિંગ અને હોસ્ટેલના નિર્માણ માટે રૂપિયા ૧૨૭ કરોડની ભવ્ય ગ્રાન્ટ પણ ફાળવી દેવામાં આવી છે. અહીં ટીચર એજ્યુકેશનની વ્યાખ્યાને વ્યાપક બનાવીને હવે માત્ર સરકારી શિક્ષકો જ નહીં, પરંતુ કમ્પ્યુટર પ્રોફેસર્સ, થિયેટર આર્ટિસ્ટ, જીમ ટ્રેનર્સ અને રમત-ગમતના કોચિંગ ક્ષેત્રના મેન્ટર્સને પણ સાંકળવામાં આવ્યા છે.
કાર્યરત કરવામાં આવેલી નવી ૭ યુનિવર્સિટી સ્કૂલ્સની યાદી:
વૈશ્વિક સ્તરે શિક્ષણ પદ્ધતિમાં આવી રહેલા ક્રાંતિકારી પરિવર્તનોને સ્વીકારીને આ ૭ નવી સ્કૂલ્સ શરૂ કરાઈ છે:
- સ્કૂલ ઓફ એજ્યુકેશન ઇન સાયન્સીસ એન્ડ મેથેમેટિક્સ
- સ્કૂલ ઓફ એજ્યુકેશન ઇન હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસ
- સ્કૂલ ઓફ ફિઝિકલ એજ્યુકેશન, સ્પોર્ટ્સ એન્ડ યોગા
- સ્કૂલ ઓફ એજ્યુકેશન ઇન પર્ફોર્મિંગ આર્ટ્સ એન્ડ ફાઇન આર્ટ્સ
- સ્કૂલ ઓફ એજ્યુકેશન ઇન કોમર્સ, મેનેજમેન્ટ એન્ડ એજ્યુકેશનલ લીડરશિપ
- સ્કૂલ ઓફ એજ્યુકેશન ઇન ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એન્ડ ઇમર્જિંગ એરિયાઝ
- સ્કૂલ ઓફ સ્પેશિયલ એજ્યુકેશન
સ્ટ્રીમની દીવાલો તૂટી: વિજ્ઞાનનો વિદ્યાર્થી પણ ફિલોસોફી ભણશે, ઈન્ટરડિસિપ્લનરી રિસર્ચને વેગ
નવા શૈક્ષણિક માળખાનો સૌથી મોટો ફાયદો એ થશે કે હવે પરંપરાગત ભણતરની સીમાઓ એટલે કે સાયન્સ, આર્ટ્સ અને કોમર્સની દીવાલો ખરી પડશે. જો કોઈ વિજ્ઞાન કે ગણિતનો વિદ્યાર્થી પોતાની ઈચ્છા કે રુચિ અનુસાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અથવા ફિલોસોફી (તત્વજ્ઞાન) ભણવા માંગતો હોય, તો તે તેને વૈકલ્પિક વિષય તરીકે પસંદ કરી શકશે. આનાથી વિદ્યાર્થીઓમાં આંતરવિષયક સંશોધન (Interdisciplinary Research) ને બહુ મોટો વેગ મળશે.
Ph.D. અને ઉચ્ચ સંશોધન ક્ષેત્રે ખુલશે નવી ક્ષિતિજો
આ શૈક્ષણિક નવતર પ્રયોગના પરિણામે હવે યુનિવર્સિટીમાં સાયન્સ-ટેક્નોલોજી, હ્યુમેનિટીઝ, શૈક્ષણિક નેતૃત્વ (Educational Leadership) અને કલા-રમતગમત જેવા બહુવિધ વિષયોમાં Ph.D. અને હાઇ-લેવલ રિસર્ચ માટે નવા દ્વાર ખુલશે. IITE નો આ નિર્ણય આગામી સમયમાં દેશને સર્વાંગી જ્ઞાન ધરાવતા ગ્લોબલ શિક્ષકો અને કુશળ શૈક્ષણિક લીડર્સ પૂરા પાડવામાં પાયાનો પથ્થર સાબિત થશે.
