નડિયાદ: આજના હાઈટેક યુગમાં આપણે ભલે ટેકનોલોજીની દ્રષ્ટિએ આસમાને પહોંચ્યા હોઈએ, પરંતુ માનવીય સંવેદનાઓના સ્તરે પાતાળમાં જઈ રહ્યા હોય તેવું પ્રતીત થાય છે. નડિયાદની પ્રખ્યાત સી.બી. પટેલ આર્ટ્સ કોલેજની મનોવિજ્ઞાન વિભાગની વિદ્યાર્થિની વિધિ ચૌહાણ દ્વારા કરવામાં આવેલા એક મનોવૈજ્ઞાનિક સંશોધને સમાજની વરવી વાસ્તવિકતા ખુલ્લી પાડી છે. ‘વૃદ્ધાશ્રમ પ્રત્યે લોકોની માનસિકતા’ વિષય પર હાથ ધરવામાં આવેલા આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, 70% થી વધુ વડીલો પોતાના સંતાનોના તિરસ્કાર અને ઉપેક્ષાને કારણે ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર બન્યા છે.
સંશોધનના ચોંકાવનારા આંકડાકીય તારણો
આચાર્ય પ્રો. ડૉ. મહેન્દ્રકુમાર દવે અને માર્ગદર્શક શિક્ષકોના સહયોગથી થયેલા આ સર્વેક્ષણમાં કેટલાક આઘાતજનક તથ્યો સામે આવ્યા છે:
તિરસ્કાર મુખ્ય કારણ: 52.60% લોકો માને છે કે પરિવારમાં મળતો અનાદર વૃદ્ધાશ્રમો વધવાનું મુખ્ય કારણ છે.
જવાબદારીથી છટકતી પેઢી: 65.80% યુવાનોમાં પોતાના વૃદ્ધ માતા-પિતાની જવાબદારી ઉઠાવવામાંથી છટકવાની વૃત્તિ જોવા મળી છે.
અમીર વર્ગમાં વધુ ઉપેક્ષા: સર્વે મુજબ 83.40% લોકોનું માનવું છે કે મધ્યમ વર્ગ કરતા આર્થિક રીતે વધુ સધ્ધર (શ્રીમંત) વર્ગમાં વડીલોને આશ્રમમાં મોકલવાનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઊંચું છે.
માનસિક વેદના: 78.80% લોકો સ્વીકારે છે કે આશ્રમમાં રહેતા વૃદ્ધો ભલે સુરક્ષિત હોય, પણ તેઓ માનસિક રીતે ક્યારેય સુખી હોતા નથી.
શહેરી સંસ્કૃતિ અને સંવેદનાની ઉણપ
અભ્યાસમાં સ્પષ્ટ થયું છે કે શહેરી સંસ્કૃતિમાં ‘વ્યક્તિગત સ્વાતંત્ર્ય’ ના નામે વડીલોને બોજ માનવાની વૃત્તિ વધી છે. અંદાજે 60.30% વડીલો પરિવારથી વિખૂટા પડવાના ગમમાં જીવે છે, જ્યારે 39.70% લોકો એકલતા અને લાગણીના અભાવે માનસિક બિમારીઓનો ભોગ બને છે. વળી, 60.90% લોકો આ પારિવારિક વિખવાદ અને વડીલોની સ્થિતિ માટે પુત્રવધૂની ભૂમિકાને પણ એક કારણ ગણાવે છે.
શું વૃદ્ધાશ્રમ અનિવાર્ય અનિષ્ટ છે?
સર્વેક્ષણમાં 54.50% લોકોએ એવો મત આપ્યો હતો કે જે વડીલોને પોતાના જ ઘરે માન-સન્માન મળતું નથી, તેમના માટે વૃદ્ધાશ્રમ એક સુરક્ષિત અને અનિવાર્ય વિકલ્પ બની રહ્યો છે. જોકે, આ સંશોધન આધુનિક સમાજને એક ગંભીર આત્મમંથન કરવા મજબૂર કરે છે કે આપણે વિકાસની દોડમાં આપણા જ પાયા (વડીલો) ને તો ભૂલી નથી રહ્યા ને?
