નડિયાદ: નડિયાદ મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ આજે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. શુક્રવારે, 10 એપ્રિલના રોજ ભાજપના તમામ 52 ઉમેદવારોએ એકસાથે સંગઠિત થઈને કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી પત્રો ભરીને ચૂંટણી જંગના વિધિવત શ્રીગણેશ કર્યા છે. આ પ્રસંગે યોજાયેલી ભવ્ય રેલીએ નડિયાદ શહેરને કેસરિયા રંગે રંગી દીધું હતું.
સંતરામ મંદિરથી કલેક્ટર કચેરી સુધી ભવ્ય રેલી
સવારે 11 કલાકે નડિયાદના આસ્થાના કેન્દ્ર એવા સંતરામ મંદિર ખાતે તમામ 13 વોર્ડના ઉમેદવારો એકત્રિત થયા હતા. મંદિરમાં દર્શન અને આશીર્વાદ લીધા બાદ ડીજેના તાલે અને કેસરિયા ધ્વજ સાથે વિશાળ રેલી પ્રસ્થાન થઈ હતી. આ રેલી શહેરના મુખ્ય માર્ગો જેવા કે સંતરામ રોડ, સ્ટેશન રોડ, આરટીઓ રોડ અને મિશન રોડ પર ફરી હતી. મોટી સંખ્યામાં ઉમટી પડેલા સમર્થકો અને કાર્યકર્તાઓના સૂત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ ચૂંટણીમય બની ગયું હતું.

દિગ્ગજ નેતાઓની હાજરીમાં શક્તિપ્રદર્શન
આ શક્તિપ્રદર્શનમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ અને નડિયાદના સિનિયર ધારાસભ્ય પંકજ દેસાઈ સહિતના પક્ષના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શહેરના મુખ્ય માર્ગો પર ભ્રમણ કર્યા બાદ રેલી ડભાણ રોડ સ્થિત કલેક્ટર કચેરીએ પહોંચી હતી, જ્યાં તમામ ઉમેદવારોએ ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના નામાંકન પત્ર રજૂ કર્યા હતા.

સત્તા જાળવી રાખવાનો નિર્ધાર
નડિયાદ મહાનગરપાલિકામાં ફરી એકવાર સત્તાના સૂત્રો સંભાળવાના મક્કમ નિર્ધાર સાથે ભાજપે આક્રમક શરૂઆત કરી છે. એકસાથે 52 ઉમેદવારોના ફોર્મ ભરાતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકીય વિશ્લેષકોના મતે, ભાજપનું આ આયોજન વિરોધ પક્ષો માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે આગામી 26 એપ્રિલે યોજાનારા મતદાનમાં જનતા કોના પક્ષમાં પોતાનો જનાદેશ આપે છે.
