આણંદ: કેટલાક લોકોની હાજરી જ માનવસેવાના ભગીરથ કાર્યોની સાક્ષી પૂરતી હોય છે. આણંદના વલાસણ ગામે માં મેલડીના પાવન પ્રાંગણમાં ૨૪ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સેવાનો એક અદભૂત નજારો જોવા મળ્યો. ‘સિયારામ ફાઉન્ડેશન’ના સ્થાપક દીપાલીબેન ઇનામદાર દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્નોત્સવમાં સર્વજ્ઞાતિની 51 દીકરીઓએ ધામધૂમપૂર્વક પ્રભુતામાં પગલાં માંડ્યા છે. ઉલ્લેખનીય છે કે, દીપાલીબેને ૨૦૨૪ અને ૨૦૨૫માં પણ ૫૧-૫૧ દીકરીઓના લગ્ન કરાવી અત્યાર સુધીમાં કુલ ૧૫૩ દીકરીઓને આશીર્વાદ આપ્યા છે.
કોરોનાથી શરૂ થયેલી સેવાની સફર
દીપાલીબેન માટે સેવા કોઈ પ્રદર્શન નથી પણ સહજ અભિવ્યક્તિ છે. કોરોનાકાળમાં ૧૦,૦૦૦ લોકોને રાશન અને ઓક્સિજન પહોંચાડવાથી લઈને જૂનાગઢના પૂરમાં લોકોની વ્હારે આવવા સુધી તેમની સફર નિરંતર રહી છે. વર્ષ ૨૦૨૩માં તેમણે ૧૦૧ દીકરીઓના વિનામૂલ્યે લગ્ન કરાવવાનો સંકલ્પ લીધો હતો, જે આજે એક જન આંદોલન બની ચૂક્યું છે. આ કાર્યમાં તેમના પતિ વિશાલભાઈ ઇનામદાર પણ ખભેખભો મિલાવીને ઉભા રહે છે. વિશાલભાઈના મતે, આ બધું માં મેલડીની શક્તિથી જ શક્ય બન્યું છે.
અદભૂત કરિયાવર અને હેલ્થ કાર્ડની નવી પહેલ
આ વખતે સિયારામ ફાઉન્ડેશન દ્વારા માત્ર ઘરવખરી જ નહીં, પણ દીકરીઓના ભવિષ્યની પણ ચિંતા કરવામાં આવી છે. દરેક નવદંપતીને તમામ જરૂરી ફર્નિચર, વાસણો અને આભૂષણોની સાથે એક વિશેષ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યું છે. આ કાર્ડ દ્વારા દંપતી એક વર્ષ સુધી મફત તબીબી સારવાર મેળવી શકશે. દીકરીઓ માટેની આ સંવેદનશીલ પહેલની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.
રાજકીય મહાનુભાવો અને કલાકારોની હાજરી
આ ભવ્ય પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રમણ સોલંકી, સાંસદ મિતેશ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ (બાપજી), કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજય ગોહિલ અને વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. મનોરંજનની દુનિયામાંથી જીગ્નેશ કવિરાજ, હકાભા ગઢવી અને સાગર પટેલે લગ્નગીતોની રમઝટ બોલાવી હતી. આશરે ૯૦૦૦ લોકોએ આ પ્રસંગે સમૂહ ભોજનનો લ્હાવો લીધો હતો, જેનો સંપૂર્ણ ખર્ચ ફાઉન્ડેશન દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.
