આણંદ: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આજે આણંદ જિલ્લાના પ્રવાસ દરમિયાન કાર્યક્રમોની વ્યસ્તતા વચ્ચે આણંદના નવા બસ સ્ટેન્ડની આકસ્મિક (Surprise) મુલાકાત લેતા એસટી વિભાગના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. હર્ષ સંઘવીએ કોઈ પણ પૂર્વ સૂચના વગર બસ સ્ટેન્ડ પહોંચીને ત્યાંની પાયાની સુવિધાઓ, સ્વચ્છતા અને બસોના સમયપત્રકની ગંભીરતાથી સમીક્ષા કરી હતી.
વિદ્યાર્થીઓ સાથે બસમાં બેસી સમસ્યાઓ જાણી
મુલાકાત દરમિયાન હર્ષ સંઘવીએ સાદગીનો પરિચય આપતા સ્ટેન્ડ પર ઊભેલી બોરસદ રૂટની એસટી બસમાં પોતે પ્રવેશી ગયા હતા. બસમાં બેઠેલા વિદ્યાર્થીઓ સાથે તેમણે સીધો સંવાદ સાધ્યો હતો અને પૂછ્યું હતું કે, “બસ સમયસર આવે છે કે નહીં? તમને કોઈ તકલીફ તો નથી ને?” હર્ષ સંઘવીએ બસમાં સ્વચ્છતાના માપદંડો જાતે તપાસ્યા હતા અને મુસાફરોને બસમાં ગંદકી ન કરવા તથા સ્વચ્છતા જાળવવા નમ્ર અપીલ કરી હતી.
આણંદ-બોરસદ રૂટ માટે મોટી જાહેરાત
આ મુલાકાત દરમિયાન વાહન વ્યવહાર મંત્રીએ આણંદ અને ચરોતરના મુસાફરો માટે ખુશીના સમાચાર આપતા જણાવ્યું હતું કે:
૨૦૦ નવી બસો: ટૂંક સમયમાં રાજ્યના કાફલામાં ૨૦૦ નવી બસો ઉમેરવામાં આવશે.
આણંદને ફાળવણી: આ ૨૦૦ બસોમાંથી ૪ નવી બસો ખાસ આણંદ-બોરસદ રૂટ પર દોડાવવામાં આવશે.
ખંભાત રૂટ: ખંભાત સુધીના રૂટની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે, જેથી ગ્રામીણ અને શહેરી વિદ્યાર્થીઓને મુસાફરીમાં રાહત મળે.
અધિકારીઓને કડક સૂચના અને સુવિધાની સમીક્ષા
નાયબ મુખ્યમંત્રીએ ઇન્કવાયરી વિન્ડો પર જઈને GSRTC ના કર્મચારીઓ સાથે વાત કરી હતી અને પરિવહન સેવામાં ખૂટતી કડીઓ વિશે જાણકારી મેળવી હતી. આણંદના ધારાસભ્ય યોગેશ પટેલે બસ સ્ટેન્ડના આધુનિકીકરણ અને આગામી વિકાસલક્ષી કામોની વિગતો આપી હતી. હર્ષ સંઘવીએ ભાર પૂર્વક જણાવ્યું હતું કે મુસાફરોને કોઈ પણ ભોગે અસુવિધા થવી જોઈએ નહીં.
આ પ્રસંગે આણંદના પ્રભારી મંત્રી સંજયસિંહ મહીડા, સાંસદ મિતેશ પટેલ (આણંદ), સાંસદ હેમાંગ જોશી (વડોદરા), ધારાસભ્ય ચિરાગ પટેલ સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
