નવી દિલ્હી: શિક્ષણ જગત અને ન્યાયતંત્ર વચ્ચે એક મોટો વિવાદ છેડાયો છે. NCERT ના ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં ‘ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચાર’ વિશેના એક વિવાદાસ્પદ પ્રકરણ પર સુપ્રીમ કોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે આ મામલે સુઓ મોટુ (Suo Motu) સંજ્ઞાન લેતા NCERT ના ડાયરેક્ટર અને શિક્ષણ સચિવને ‘શો-કોઝ’ નોટિસ ફટકારી છે.

“ન્યાયપાલિકા લોહીલુહાણ થઈ રહી છે” – CJI
સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંતે અત્યંત ભાવુક અને કડક શબ્દોમાં કહ્યું હતું કે, “ન્યાયપાલિકાને બદનામ કરવાનો હક કોઈને નથી. આ કોઈ સામાન્ય ભૂલ નથી, પણ સંસ્થાને નબળી પાડવાનું એક સમજી-વિચારીને કરાયેલું કૃત્ય લાગે છે. તેઓએ ગોળી ચલાવી છે અને આજે ન્યાયતંત્ર લોહીલુહાણ થઈ રહ્યું છે.” કોર્ટે સ્પષ્ટ કર્યું કે તે વાજબી ટીકાની વિરુદ્ધ નથી, પરંતુ વિદ્યાર્થીઓને પૂર્વગ્રહયુક્ત શિક્ષણ આપવું એ દેશના ભવિષ્ય માટે ખતરનાક છે.
સુપ્રીમ કોર્ટના કડક આદેશો:
પુસ્તકો પર પ્રતિબંધ: ધોરણ 8 ના આ વિવાદાસ્પદ પ્રકરણવાળા તમામ પુસ્તકો (પ્રિન્ટ અને ડિજિટલ) ને બજાર અને શાળાઓમાંથી તાત્કાલિક હટાવી દેવાનો આદેશ આપ્યો છે.
જવાબદારોની ઓળખ: નેશનલ કરિક્યુલમ કાઉન્સિલના કયા સભ્યોએ આ પ્રકરણ લખ્યું અને મંજૂર કર્યું, તેમના નામ અને મીટિંગની વિગતો રજૂ કરવા આદેશ અપાયો છે.
કોર્ટની તિરસ્કારની નોટિસ: NCERT ડાયરેક્ટર ડો. દિનેશ પ્રસાદ સકલણી અને શાળા શિક્ષણ વિભાગને કન્ટેમ્પટ નોટિસ પાઠવવામાં આવી છે.
કેન્દ્ર સરકારની બિનશરતી માફી
આ મામલે સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ન્યાયતંત્ર સમક્ષ બિનશરતી માફી માંગી હતી. જોકે, કોર્ટે આ મામલાને ગંભીર ગણાવતા કહ્યું કે, “જે પણ જવાબદાર હશે તેને છોડવામાં આવશે નહીં. આ આખી સંસ્થાની ગરિમાનો સવાલ છે.” કોર્ટે આ મામલે તપાસ માટે એક સમિતિ બનાવવાની પણ જાહેરાત કરી છે અને આગામી સુનાવણી 4 અઠવાડિયા પછી રાખવામાં આવી છે.
