રાજકોટ: હવામાન વિભાગની આગાહી ફરી એકવાર સાચી ઠરી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી વચ્ચે આજે સૌરાષ્ટ્રના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. રાજકોટ શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. રાજકોટના માધાપર ચોકડી, મોરબી રોડ, બહુમાળી ભવન, કેકેવી હોલ, બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન જેવા વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.
ભારે પવન અને કરા સાથે વરસાદ
રાજકોટ શહેરમાં માત્ર વરસાદ જ નહીં, પરંતુ જોરદાર પવન અને ગાજવીજ સાથે કરા પણ પડ્યા હતા. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, ગયા અઠવાડિયે નોંધાયેલા ૪૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન બાદ આ પ્રથમ ‘પ્રી-મોન્સૂન સ્પેલ’ છે. પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) ને કારણે જમીન અને આકાશના તાપમાનમાં સર્જાયેલા મોટા તફાવતને લીધે શક્તિશાળી ‘ડાઉનડ્રાફ્ટ્સ’ ઉભા થયા છે, જેના પરિણામે ૩૦ થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
ખેડૂતોની ચિંતામાં વધારો
જામનગરમાં ગત રોજ વરસેલા વરસાદ બાદ આજે રાજકોટ, કચ્છ, મોરબી અને દ્વારકામાં પણ માવઠાએ દસ્તક આપી છે. એકતરફ લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે, તો બીજી તરફ ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. ઉનાળુ પાક તૈયાર થવાની આરે છે ત્યારે વાવાઝોડા અને કરાને કારણે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જામનગર અને દ્વારકામાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
નિષ્ણાંતોનું શું કહેવું છે?
હવામાન નિષ્ણાંતોના મતે, જમીન સ્તરે ૩૦ ડિગ્રીથી વધુ તાપમાન અને ૨ કિમી ઉપર ૧૨ ડિગ્રી જેટલું નીચું તાપમાન હોવાને કારણે તાપમાનનું જે વિપરીત માળખું રચાયું છે, તે કરા પડવા માટે સાનુકૂળ પરિસ્થિતિ ઊભી કરે છે. ગત સપ્તાહની ગરમીને કારણે એકઠી થયેલી ઉર્જા અત્યારે તીવ્ર વાવાઝોડા અને વરસાદના સ્વરૂપે મુક્ત થઈ રહી છે. આગામી ૨૪ કલાક દરમિયાન પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા નકારી શકાય તેમ નથી.
