મહીસાગર: રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે આયોજિત ‘વિકાસ સંકલ્પ સભા’માં જંગી જનમેદનીને સંબોધન કર્યું હતું. તેમણે માનગઢના શહીદો અને ગોવિંદ ગુરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિએ છેવાડાના માનવીના જીવનમાં પરિવર્તન આણ્યું છે.
આરોગ્ય અને આવાસ પર વિશેષ ભાર
મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદીના વિઝનરી નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું કે, ગરીબ અને મધ્યમ વર્ગ માટે યોગથી લઈને આયુષ્માન ભારત જેવી યોજનાઓ દ્વારા ગંભીર બીમારીઓમાં મફત સારવાર સુનિશ્ચિત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી હજારો પરિવારોનું પોતાના પાકા ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. વીજળી, પાણી અને પાકા રોડ-રસ્તાઓ આજે દરેક ગામડા સુધી પહોંચ્યા છે.
આદિવાસી સંસ્કૃતિ અને જનજાતિ ગૌરવ
આદિવાસી કલ્યાણના મુદ્દે CMએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ આદિવાસી સમાજની વર્ષો જૂની સમસ્યાઓનું નિવારણ કર્યું છે. ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને ‘જનજાતિ ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાની શરૂઆત એ આદિવાસી વિરાસતનું સર્વોચ્ચ સન્માન છે.
મહેસૂલ નિયમોમાં ઐતિહાસિક સુધારો
નાગરિકોની સુવિધા માટે મુખ્યમંત્રીએ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, હવે જમીનના 7-12ના ઉતારામાં નવી શરતમાંથી જૂની શરતમાં ફેરફાર કરવા માટે અરજી કરવાની જરૂર રહેશે નહીં, આ પ્રક્રિયા હવે સીધી અને સ્વયંસંચાલિત થશે. આ ઉપરાંત, ગોધર અને કોઠંબા જેવા નવા તાલુકાઓની રચનાથી વહીવટી સરળતામાં વધારો થયો છે.
ચૂંટણી જીતવા જનતાને આહ્વાન
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારમાં મુખ્યમંત્રીએ વિરોધ પક્ષોના પ્રલોભનોથી સાવચેત રહેવા અપીલ કરી હતી. તેમણે ‘વિકસિત ગુજરાત’ થી ‘વિકસિત ભારત’ ના સંકલ્પને સાકાર કરવા માટે ભાજપાના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા જનતાને હાકલ કરી હતી.
