રાજપીપળા/નર્મદા: નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચાનું કેન્દ્ર બનેલા 75 લાખ રૂપિયાના કથિત તોડકાંડમાં આજે અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીએ પોતાના અગાઉના નિવેદનથી યુ-ટર્ન લીધો છે. સાંસદ મનસુખ વસાવા આજે મોટી સંખ્યામાં કાર્યકરો અને ભાજપ પ્રમુખ નીલ રાવ સાથે કલેક્ટર કચેરીએ રૂબરૂ ખરાઈ કરવા પહોંચ્યા હતા, જ્યાં કલેક્ટરે સ્વીકાર્યું છે કે 75 લાખની માંગની વાત સાચી હતી.
કેવડિયા હેલિપેડ પર થઈ હતી તોડની વાત
મનસુખ વસાવા અને ભાજપના આગેવાનો સાથેની બંધ બારણે યોજાયેલી બેઠકમાં કલેક્ટરે સ્પષ્ટતા કરી હતી કે, અગાઉ જે વાત નકારવામાં આવી હતી તે કદાચ સ્થળના સંદર્ભમાં હતી. કલેક્ટરે સ્વીકાર્યું કે આ 75 લાખના તોડની ચર્ચા રાજપીપળામાં નહીં, પરંતુ કેવડિયા હેલિપેડ ખાતે થઈ હતી. કલેક્ટરના આ નિવેદનથી હવે ધારાસભ્ય ચૈતર વસાવા મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
ઇજનેર દ્વારા કલેક્ટરને અપાઈ હતી જાણ
કલેક્ટર એસ.કે. મોદીએ બેઠક દરમિયાન વધુમાં જણાવ્યું કે, માર્ગ અને મકાન વિભાગના ઇજનેર મોદી દ્વારા તેમને આ બાબતની જાણ કરવામાં આવી હતી કે ચૈતર વસાવા દ્વારા 75 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી છે. નોંધનીય છે કે, ગઈકાલે જ્યારે ચૈતર વસાવા કલેક્ટરને મળવા ગયા હતા ત્યારે કલેક્ટરે આવી કોઈ વાત થઈ હોવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ આજે મનસુખ વસાવા સામે તેમણે સત્યનો સ્વીકાર કર્યો છે.
કલેક્ટરે મીડિયાથી અંતર જાળવ્યું
મનસુખ વસાવા સાથેની બેઠક પૂર્ણ થયા બાદ કલેક્ટર એસ.કે. મોદી પોતાની ઓફિસમાંથી બહાર નીકળી સીધા રવાના થઈ ગયા હતા અને મીડિયા સાથે વાતચીત કરવાનું ટાળ્યું હતું. જોકે, મનસુખ વસાવાએ કલેક્ટરની કબૂલાત બાદ વિજયી મુદ્રામાં સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભ્રષ્ટાચાર અને તોડબાજી સામેની લડાઈ ચાલુ રાખશે. હવે જોવાનું એ રહેશે કે આ કબૂલાત બાદ સરકાર અને પોલીસ ચૈતર વસાવા વિરુદ્ધ કેવા કાયદેસરના પગલાં ભરે છે.
