નર્મદા: નર્મદા જિલ્લાનું રાજકારણ હાલમાં ₹75 લાખની કથિત માંગણી અને પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં થયેલા કથિત ખર્ચ મુદ્દે ગરમાયું છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એકબીજા પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. એક તરફ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર ‘તોડ’ કરવાનો આરોપ લગાવ્યો છે, તો બીજી તરફ ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર PMના કાર્યક્રમમાં કરોડોના ખોટા બિલો ઉધારવાનો આક્ષેપ કર્યો છે.
મનરેગા મનસુખ વસાવાનો આક્ષેપ: “ચૈતર વસાવાએ અધિકારીને ડરાવ્યો”
સાંસદ મનસુખ વસાવાએ જાહેર કર્યું હતું કે, “ચૈતર વસાવાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારી મોદી પાસે ₹75 લાખની માંગણી કરી હતી. આ વાત અધિકારીએ જાતે જિલ્લા કલેક્ટરને જણાવી હતી. જ્યારે કલેક્ટરે મને અને ભાજપ પ્રમુખ નીલ રાવને આ વિશે વાત કરી ત્યારે તે અધિકારી રીતસરનો ધ્રૂજતો હતો.” મનસુખ વસાવાએ વધુમાં ઉમેર્યું કે તેમણે જ અધિકારીને સલાહ આપી હતી કે ચૈતર વસાવાને એક પણ રૂપિયો આપવાની જરૂર નથી. તેમણે આરોપ લગાવ્યો કે ચૈતર વસાવા પહેલા માહિતી માંગે છે અને પછી અધિકારીઓ પાસેથી પૈસા પડાવવાનું કામ કરે છે.
ચૈતર વસાવાનો વળતો પ્રહાર: “પુરાવા લાવો અથવા કેસ કરો”
આ આક્ષેપોનો જડબાતોડ જવાબ આપતા ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે, “જો મેં ₹75 લાખ માંગ્યા હોય તો મનસુખ વસાવા પુરાવા રજૂ કરે. મારા મોબાઈલની કોલ ડિટેલ્સ કઢાવો, જો મેં કોઈ અધિકારી સાથે આ બાબતે વાત પણ કરી હોય તો મારા પર કેસ કરો.”
ચૈતર વસાવાએ ભાજપ સરકારને ઘેરતા ગંભીર આક્ષેપો કર્યા કે:
- નર્મદા જિલ્લામાં કુપોષણ અને સિકલસેલના દર્દીઓ માટે પૈસા નથી, પણ PMના કાર્યક્રમ માટે કરોડો રૂપિયા ખર્ચાયા છે.
- કાર્યક્રમમાં લાખો રૂપિયાના પાણીના બિલો, હોટલના બિલો અને બસોના ભાડા પેટે કરોડો રૂપિયાના ખોટા બિલો ઉધારવામાં આવ્યા છે.
- ભાજપના મળતીયાઓની એજન્સીઓને જ કામ આપીને પેમેન્ટ ચૂકવવામાં આવ્યું છે.
આંદોલનની ચીમકી
ચૈતર વસાવાએ ચીમકી આપી છે કે પ્રધાનમંત્રીના કાર્યક્રમના નામે જે પણ ખોટા બિલો ચૂકવવામાં આવ્યા છે, તે જો એક અઠવાડિયામાં પરત લેવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે. હાલમાં આ વિવાદને પગલે નર્મદા જિલ્લાના વહીવટી તંત્રમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
